ભરૂચ શહેરમાં ગતરોજ ભારે પવન અને વરસાદના કારણે નનુંમિયા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક કાચું મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ભરત ધનજી વસાવાનું મકાન સંપૂર્ણપણે તૂટી પડતાં પરિવાર ઘરવિહોણો બન્યો છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારે પવન અને વરસાદના કારણે મકાનની દીવાલો નબળી પડી જતાં છતનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. ઘટના સમયે પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા, પરંતુ સમયસર બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, મકાનને ભારે નુકસાન થતાં પરિવારનું આશ્રયસ્થાન ખંડેરમાં ફેરવાઈ ગયું છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું તેમજ પરિવારને શક્ય તેટલી મદદ અને સરકારી સહાય મળે તે માટે પ્રયત્નો શરૂ કર્યા હોવાનું જણાવ્યું હતું.
આગેવાનોએ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ભરૂચ મામલતદારને રજૂઆત કરી અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક આર્થિક સહાય, રહેઠાણ અને જરૂરી રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે.
સ્થાનિકોમાં ભારે વરસાદ અને પવનના કારણે નબળા અને કાચા મકાનો અંગે ચિંતા વ્યાપી છે. વરસાદી માહોલ વચ્ચે આવી વધુ ઘટનાઓ ન બને તે માટે તંત્ર દ્વારા જોખમી મકાનોનું સર્વેક્ષણ કરવાની પણ માંગ ઉઠી રહી છે.
