ભરૂચ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 5 જૂનના રોજ દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાને ₹894 કરોડથી વધુના 6 મહત્વપૂર્ણ GIDC પ્રોજેક્ટ્સની ભેટ આપશે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી દહેજ, જંબુસર, પાનોલી અને અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રદૂષણ નિયંત્રણ વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે.
ભરૂચ જિલ્લાના દહેજ PCPIR વિસ્તારમાં સાયખા પમ્પિંગ સ્ટેશનથી દહેજ લેન્ડફોલ પોઇન્ટ સુધી 90 MLD ક્ષમતાની ઑનશોર અને ઑફશોર એફ્લુઅન્ટ નિકાલ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ₹474.61 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટથી દહેજ અને સાયખા વિસ્તારના ઔદ્યોગિક પ્રદૂષિત પાણીના નિકાલને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટમાં PLC SCADA સિસ્ટમ, સિવિલ સ્ટ્રક્ચર્સ અને ઇલેક્ટ્રો-મિકેનિકલ સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.
જંબુસર ખાતે વિકસાવવામાં આવેલા બલ્ક ડ્રગ પાર્કમાં ₹274.96 કરોડના ખર્ચે રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેન જેવી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોને નવી ગતિ મળશે અને ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન મળશે.
આ ઉપરાંત દહેજ-2 ઔદ્યોગિક વસાહતમાં 30 MLD ક્ષમતાનું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી ઔદ્યોગિક ડ્રેનેજ વ્યવસ્થાપન વધુ કાર્યક્ષમ બનશે.
પાનોલી વિસ્તરણ GIDC વિસ્તારમાં ફ્લેક્સિબલ રોડ પેવમેન્ટ, પાણી પુરવઠા નેટવર્ક, સ્ટ્રીટ લાઇટ, પેવર બ્લોક અને વૃક્ષારોપણ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. જ્યારે અંકલેશ્વરમાં એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન માટે ઇન્ટરમીડિયેટ બૂસ્ટર પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
દહેજ-1 ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણીના નિકાલની ક્ષમતા વધારવા માટે નેચરલ ડ્રેઇન-2નું અપગ્રેડેશન પણ હાથ ધરાયું છે. આથી પાણી ભરાવાની સમસ્યા ઘટશે અને વરસાદી પાણીના નિકાલમાં સુધારો થશે.
આ તમામ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વિકાસ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે વધુ સશક્ત બનશે.
