ભરૂચ:
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પરિમલસિંહજી રણાએ પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ સાદગીપૂર્ણ અને સેવાકીય કાર્યો સાથે કરી હતી. આ ખાસ અવસરે તેઓએ ભરૂચ સ્થિત પાંજરાપોળ ખાતે આવીને ગૌ-પૂજન કરીને પોતાના દિવસની મંગલમય શરૂઆત કરી હતી.
પોતાના જન્મદિવસને સેવાના ઉત્સવમાં બદલતા પરિમલસિંહજી રણાએ ભરૂચ પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલી હજારો ગૌ-માતાઓની સેવા અને નિભાવ માટે રૂપિયા ૧,૦૦,૦૦૦/- (એક લાખ રૂપિયા) નો અનુદાન ચેક સંસ્થાના ટ્રસ્ટીઓને સુપ્રત કર્યો હતો. તેમના દ્વારા કરવામાં આવેલ આ ઉમદા કાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા કરવામાં આવી રહી છે.
આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન તેમની સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના વર્તમાન પ્રમુખ રાજેન્દ્રસિંહજી રણા, ભરૂચ નગરપાલિકાના સભ્ય જીગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ તેમજ કોંગ્રેસ પક્ષના અન્ય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પરિમલસિંહજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ અગ્રણીઓએ પણ ગૌ-માતાના આશીર્વાદ લીધા હતા. પરિમલસિંહજી રણાએ જણાવ્યું હતું કે, “જન્મદિવસ એ ઉજવણી કરવાનો દિવસ હોવાની સાથે સાથે સમાજ અને જીવમાત્રની સેવા કરવાનો પણ એક અવસર છે. ગૌ-માતાની સેવા એ શ્રેષ્ઠ સેવા છે, અને આ સેવાકીય કાર્યથી મને જે આત્મસંતોષ મળ્યો છે તે મારા માટે અમૂલ્ય છે.”
ભરૂચ પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટીગણે શ્રી પરિમલસિંહજી રણાના આ ઉદાર દાન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
