ભરૂચ શહેરના નારાયણનગર-2 વિસ્તારમાં ચોરીની ચકચારી ઘટના સામે આવી છે. પરિવાર રાત્રે ધાબા પર સૂતો હતો ત્યારે અજાણ્યા ચોરે રહેણાંક મકાનમાં ઘૂસી તિજોરી તોડી અંદાજે રૂ.1.62 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, ફરિયાદી અમિત ગોહીલ અને તેમનો પરિવાર 2 જૂનની રાત્રે ઘરના ધાબા પર સુતો હતો. દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યો હતો.
બીજા દિવસે સવારે પરિવાર નીચે ઉતર્યો ત્યારે મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો. ઘરમાં તપાસ કરતાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી. લોકરમાંથી સોનાની ચેઇન, બુટ્ટી, લક્કી, પેન્ડલ, વીંટી, જડ તેમજ ચાંદીની લક્કી અને પાયલ સહિત કુલ રૂ.1.62 લાખના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
ઘટનાની જાણ થતાં ભરૂચ શહેર પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે આરોપીને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.
