નવયુગ વિદ્યાલય ખાતે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે ઉત્સાહભેર વિદ્યાર્થીઓનું સ્વાગત કરી શાળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર શાળા પરિસરમાં ઉજવણીમય વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓમાં નવા સત્રને લઈ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું તેમજ મીઠું મોઢું કરાવી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરાવવામાં આવી હતી.
શૈક્ષણિક કાર્યની શરૂઆત “ઇતની શક્તિ હમે દેના દાતા” પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહ્યા હતા. ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને શાળા તરફથી પાઠ્યપુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે માહિતી આપતા જણાવ્યું હતું કે, અભ્યાસ છોડી ચૂકેલા વિદ્યાર્થીઓને શોધી ફરી શાળામાં પ્રવેશ અપાયો છે. સાથે જ જેમના માતા-પિતા અથવા પિતા નથી તેવા વિદ્યાર્થીઓના શિક્ષણ સહિતના તમામ ખર્ચ મહેશભાઇ સોલંકી તથા શાળા મંડળ દ્વારા ઉઠાવવામાં આવશે.
શાળાના આ માનવતાભર્યા અને શિક્ષણલક્ષી પ્રયાસોને વાલીઓ અને સ્થાનિકોમાંથી પ્રશંસા મળી રહી છે.
