ભરૂચ :
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી એસએસસી તથા એચએસસી (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ)ની બેસ્ટ ઓફ-2 એટલે કે પૂરક પરીક્ષાઓનો પ્રારંભ ગુરૂવારથી ભરૂચ જિલ્લામાં થશે. પરીક્ષાના આયોજન માટે જિલ્લા તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
જિલ્લા શિક્ષણ તંત્ર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર એસએસસીની પૂરક પરીક્ષા માટે ભરૂચ ખાતે કુલ 9 પરીક્ષા કેન્દ્રો (બિલ્ડિંગ)માં 88 બ્લોક ગોઠવવામાં આવ્યા છે, જેમાં કુલ 2,519 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
એચએસસી સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે 6 બિલ્ડિંગમાં 51 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 1,484 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. જ્યારે એચએસસી વિજ્ઞાન પ્રવાહ માટે 5 બિલ્ડિંગમાં 44 બ્લોક ગોઠવવામાં આવ્યા છે, જેમાં કુલ 849 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આમ એસએસસી, એચએસસી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મળીને કુલ 20 બિલ્ડિંગમાં 183 બ્લોકમાં 4,852 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. નોંધનીય છે કે જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો ભરૂચ શહેર ખાતે જ રાખવામાં આવ્યા છે અને જિલ્લા કક્ષાએ સમગ્ર પરીક્ષા પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.
પરીક્ષાના સુચારૂ આયોજન માટે માનનીય કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, વાહન વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સ્ટાફ, નિરીક્ષકો તથા સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવાયું છે કે પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ તક છે. વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી સફળતા પ્રાપ્ત કરે અને વર્તમાન શૈક્ષણિક સત્રથી જ પોતાના આગામી અભ્યાસક્રમને આગળ વધારી શકે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
