અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ થયેલી સગીરવયની બાળકીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી નોંધપાત્ર સફળતા મેળવી છે. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલિયા મોર વિસ્તારમાંથી બાળકીને આરોપી સાથે સુરક્ષિત શોધી કાઢી હતી. ત્યારબાદ આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ તથા અંકલેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સી. એફ. ઠાકોરે સગીરાની શોધખોળ માટે સર્વેલન્સ સ્ક્વોડ અને બીટ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સઘન તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ કે.બી. મીર અને તેમની ટીમે ગુલિયા મોર વિસ્તારમાં દરોડો પાડી સગીરાને આરોપી સાથે સુરક્ષિત શોધી કાઢી હતી. બંનેને અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, જ્યાં સગીરાને તેના માતા-પિતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.
આ સમગ્ર કામગીરીમાં પીએસઆઈ કે.બી. મીર, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ કનુભા, પોલીસ કોન્સ્ટેબલ જીગરભાઈ સાગરભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રોશનકુમાર ચેતનભાઈએ ટીમ વર્કથી મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.
