ભરૂચ:
સર્વોદય, ગાંધી અને વિનોબા ભાવેનાં વિચારોના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત **’ભૂમિપુત્ર’**ના અમૃત મહોત્સવની ઉજવણીને લઈ ભરૂચ ખાતે એક બેઠક યોજાઈ હતી. સપ્ટેમ્બર-2027માં ‘ભૂમિપુત્ર’ના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ આયોજનના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે શહેરના મોહન મીઠાઈ હોલ ખાતે મળેલી બેઠકમાં ભૂમિપુત્રના વાચકો, સર્વોદય વિચારધારાના કાર્યકરો તેમજ ગાંધી-વિનોબાના વિચારોમાં શ્રદ્ધા ધરાવતા નાગરિકોને જોડાવા અપીલ કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ભરૂચ જિલ્લા સ્તરની આયોજન સમિતિની રચના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આયોજકોએ સમાજમાં ગાંધી, વિનોબા ભાવે અને સર્વોદયના મૂલ્યોને વધુ વ્યાપક બનાવવા માટે સૌના સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ ઉપસ્થિતોએ પોતાના મિત્રવર્તુળ અને પરિચિતોમાંથી પણ આ વિચારધારાથી જોડાયેલા લોકોને અભિયાનમાં સહભાગી બનવા માટે પ્રેરિત કરવાની અપીલ કરવામાં આવી હતી.
આ આયોજન માટેનું આમંત્રણ યોગેશ જોષી અને જગદીશ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું.
