વાંકલ :
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત **‘મહિલા નેતૃત્વ દિવસ’**ની ઉમરપાડા ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, સુરત તથા આઈસીડીએસ કચેરી, ઉમરપાડાના સંયુક્ત ઉપક્રમે બિરસા મુંડા સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓના સશક્તિકરણ, નેતૃત્વ અને આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતની ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ સુનિતાબેન ગુલાબસિંહ વસાવા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે ઉમરપાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સમાજસેવિકા શારદાબેન ચૌધરીએ મહિલાઓને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રેરિત કર્યા હતા.
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ઉમરપાડાના આચાર્ય પ્રા. સુરેશભાઈ જી. બાગુલના માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. જશુબેન એમ. પરમાર મહિલા પ્રાધ્યાપિકાઓ તથા આશરે 75 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉ. જશુબેન પરમારનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ **”નારી હવે અબળા નહીં, સબળા છે”**નો સંદેશ આપતાં મહિલાઓને આત્મનિર્ભર બનવા આહ્વાન કર્યું હતું. ઉપરાંત સરકારની મહિલા સુરક્ષા, મહિલા આત્મનિર્ભરતા અને ‘સખી વન સ્ટોપ સેન્ટર’ સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
રમતગમત ક્ષેત્રે કબડ્ડીમાં યુનિવર્સિટી કક્ષાએ પસંદગી પામી ઉમરપાડાનું ગૌરવ વધારનાર કોલેજની વિદ્યાર્થીનીઓ વસાવા સાક્ષીબેન અને વસાવા ઊર્વશીબેનને શૈક્ષણિક કીટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ સ્થાનિક સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન જ્યોત્સનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડી.પી. વસાવા, કે.વી. નકુમ, આર.એન. ગામીત, ભાવિકાબેન ભગત, સીડીપીઓ ભાવનાબેન પટેલ સહિતના અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
