ભરૂચ: ભરૂચ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જિલ્લામાં મકાન, દુકાન, એકમ કે અન્ય મિલકત ભાડે આપતા માલિકોએ પોતાના ભાડૂઆતો તથા ત્યાં કામ કરતા કામદારોની જરૂરી વિગતો નિયત ફોર્મમાં ભરીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરજિયાત જમા કરાવવાની રહેશે.
જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ ભૂતકાળમાં આતંકવાદી અને અસામાજિક તત્વો દ્વારા રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં ભાડાના મકાન અથવા એકમમાં આશરો મેળવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આવા તત્વો મજૂર, કડિયાકામ, ઈંટના ભઠ્ઠા, હોટલ-ધાબા, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસમાં રસોઈયા, ફેક્ટરી-કારખાનાના કામદાર, ખાણીપીણીની દુકાન અથવા લારી તથા કલરકામના કારીગર તરીકે રોજગારી મેળવી ગુપ્ત રીતે રહેતા હોવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
જાહેરનામા મુજબ ભરૂચ જિલ્લાના મહેસૂલી વિસ્તારમાં મકાન, એકમો તથા દુકાનો ભાડે આપતા તમામ માલિકોએ નિયત ફોર્મમાં ભાડૂઆત અને કામદારોની જરૂરી વિગતો ભરીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે.
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કસૂરવાર ગણાશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હુકમના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવા હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઉપરના કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.
