ભરૂચ: ગણપતિ મહોત્સવ દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા અને વિશ્વામિત્રીથી રત્નાગિરી વચ્ચે વિશેષ ભાડા પર ગણપતિ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનોમાં ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા હોવાથી મુસાફરોને મોટી રાહત મળશે.
પશ્ચિમ રેલવે દ્વારા કુલ ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોના કુલ 14 ફેરા ચલાવવામાં આવશે. જેમાં વડોદરા-રત્નાગિરી સાપ્તાહિક સ્પેશિયલના 2 ફેરા, વિશ્વામિત્રી-રત્નાગિરી દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલના 8 ફેરા અને વિશ્વામિત્રી-રત્નાગિરી સાપ્તાહિક સ્પેશિયલના 4 ફેરાનો સમાવેશ થાય છે.
વડોદરા–રત્નાગિરી સ્પેશિયલ (ટ્રેન નં. 09114/09113) 15 સપ્ટેમ્બરે વડોદરાથી સવારે 11:15 વાગ્યે ઉપડી બીજા દિવસે રાત્રે 12:30 વાગ્યે રત્નાગિરી પહોંચશે. પરત ફરતી ટ્રેન 16 સપ્ટેમ્બરે રત્નાગિરીથી રાત્રે 1:30 વાગ્યે ઉપડી સાંજે 5:30 વાગ્યે વડોદરા પહોંચશે. બંને દિશામાં ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, પેન, રોહા, માનગાંવ, વીર, કરંજાડી, ખેડ, ચિપલૂણ, સાવરડા, અરાવલી રોડ અને સંગમેશ્વર રોડ સહિતના સ્ટેશનો પર સ્ટોપેજ રહેશે.
વિશ્વામિત્રી–રત્નાગિરી દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ (09110/09109) 12થી 23 સપ્ટેમ્બર દરમિયાન દર બુધવાર અને શનિવારે તથા પરત સેવા 13થી 24 સપ્ટેમ્બર દરમિયાન દર ગુરુવાર અને રવિવારે ચાલશે. આ ટ્રેનમાં ભરૂચ સહિતના ઉપરોક્ત મોટાભાગના સ્ટેશનો પર સ્ટોપેજ રહેશે.
આ ઉપરાંત ટ્રેન નં. 09124/09123 વિશ્વામિત્રી–રત્નાગિરી સાપ્તાહિક સ્પેશિયલ 14 અને 21 સપ્ટેમ્બરે દોડશે. આ ટ્રેનમાં પણ ભરૂચ, સુરત, વલસાડ, વાપી, દહાણુ રોડ, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, ખેડ, ચિપલૂણ અને સંગમેશ્વર રોડ સહિતના સ્ટેશનો પર રોકાણ રહેશે.
આ સ્પેશિયલ ટ્રેનોમાં એસી 3-ટિયર, સ્લીપર અને જનરલ સેકન્ડ ક્લાસ ઉપરાંત વડોદરા-રત્નાગિરી સ્પેશિયલમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર અને એસી 3-ટિયર ઇકોનોમીના કોચ પણ ઉપલબ્ધ રહેશે.
ટ્રેન નં. 09114, 09110 અને 09124 માટેનું બુકિંગ 9 ઓગસ્ટ, 2026થી તમામ પીઆરએસ કાઉન્ટરો તથા IRCTCની વેબસાઇટ પરથી શરૂ થશે. મુસાફરો ટ્રેનના સમય, સ્ટોપેજ અને કોચની સંરચનાની વિગત Indian Railways Enquiry પર ચકાસી શકશે.
