ભરૂચ :
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલી બ્રહ્માકુમારીઝ ગીતા પાઠશાળા ખાતે નશામુક્ત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારીઝ સંસ્થા અને ભારત સરકારના સંયુક્ત પ્રયાસથી સમગ્ર દેશમાં ચાલી રહેલા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો.
બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા 6 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ભારતમાં 10 કરોડથી વધુ લોકોને નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત શાળા-કોલેજો, ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
જુના તવરા ગામે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને નશાના દૂષણોથી થતા નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સ્વસ્થ અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે સૌને વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જુના તવરા ગામના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના અનુયાયીઓ તેમજ ગ્રામજનોએ નશામુક્તિની પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો સહિત સમાજના તમામ વર્ગોમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવી વ્યસનમુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે લોકભાગીદારી વધારવાનો રહ્યો હતો.
