Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શ્રાવણના પ્રારંભે ભરૂચમાં શિવભક્તિનો માહોલ, 400થી વધુ કાવડિયાઓ સાથે નર્મદા તટે ગુંજ્યો ‘હર હર મહાદેવ’ : સુરત ઉધનાથી નીકળેલી શ્વેતનાથ મહાદેવની 36મી કાવડ યાત્રા ભરૂચ પહોંચી; નર્મદાજળ ભરી શિવાલયોમાં અભિષેક કરવા કાવડિયાઓ રવાના

Share

 

ભરૂચ: શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ભરૂચના પવિત્ર નર્મદા તટે શિવભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના ઉધનાથી નીકળેલી શ્વેતનાથ મહાદેવની પરંપરાગત 36મી કાવડ યાત્રા ભરૂચ પહોંચી હતી. શિવ મિત્ર મંડળ સંઘ, ઉધના દ્વારા આયોજિત ત્રણ દિવસીય આ કાવડ યાત્રામાં 400થી વધુ કાવડિયાઓ જોડાયા હતા. કાવડિયાઓના ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી સમગ્ર માર્ગ શિવમય બની ગયો હતો.

Advertisement

કાવડિયાઓ પગપાળા ભરૂચના પવિત્ર નર્મદા તટે પહોંચ્યા હતા. અહીં નર્મદા મૈયાની પૂજા-અર્ચના કર્યા બાદ પવિત્ર નર્મદાજળ કાવડમાં ધારણ કરવામાં આવ્યું હતું. નર્મદાજળ ભરી કાવડિયાઓ પરત યાત્રા માટે રવાના થયા હતા. શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર આ યાત્રા દરમિયાન વિવિધ શિવાલયોમાં રોકાણ કરી કાવડમાં ભરેલા નર્મદાજળથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરવામાં આવી રહ્યો છે.

11 કાવડિયાથી શરૂ થયેલી યાત્રા આજે 400થી વધુ ભક્તો સુધી પહોંચી

ઉલ્લેખનીય છે કે શ્વેતનાથ મહાદેવની આ કાવડ યાત્રાની શરૂઆત વર્ષો પહેલાં માત્ર 11 કાવડિયાઓથી થઈ હતી. સમય જતાં શિવભક્તોમાં યાત્રા પ્રત્યેનો ઉત્સાહ વધતો ગયો અને આજે 400થી વધુ કાવડિયાઓ આ ધાર્મિક યાત્રામાં જોડાઈ રહ્યા છે. દર વર્ષે ભક્તોની વધતી સંખ્યા સાથે કાવડ યાત્રા વધુ ભવ્ય બની રહી છે.

કાવડિયાઓ માથે કાવડ ધારણ કરી પગપાળા આગળ વધતા હતા ત્યારે રસ્તામાં ઠેર-ઠેર ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ‘હર હર મહાદેવ’ના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. શ્રાવણ માસમાં નર્મદાજળથી શિવલિંગના અભિષેકનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

શિવ શક્તિ મંડળની કાવડ યાત્રા પણ ભરૂચ પહોંચી

આ ઉપરાંત સુરતના શિવ શક્તિ મંડળ દ્વારા આયોજિત અન્ય એક કાવડ યાત્રા પણ ભરૂચના ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. આ યાત્રામાં જોડાયેલા કાવડિયાઓએ પણ નર્મદા તટે પહોંચી નર્મદા મૈયાની પૂજા કરી પવિત્ર જળ ભર્યું હતું.

નર્મદાજળ ધારણ કર્યા બાદ કાવડિયાઓએ ઝાડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવના દર્શન અને પૂજન કર્યા હતા. ભગવાન શિવના અભિષેક બાદ કાવડિયાઓ સુરત તરફ પ્રયાણ કર્યું હતું.

શ્રાવણ માસના પાવન દિવસોમાં ભરૂચમાંથી પસાર થયેલી બંને કાવડ યાત્રાઓને પગલે શહેરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિનો માહોલ છવાયો હતો. કાવડમાં પવિત્ર નર્મદાજળ અને હોઠ પર ‘હર હર મહાદેવ’ના નાદ સાથે આગળ વધતા શિવભક્તોએ ભરૂચના નર્મદા તટને જાણે શિવમય બનાવી દીધો હતો.


Share

Related posts

અંક્લેશ્વરમાં મહારાષ્ટ્ર પાસિંગની બે શંકાસ્પદ રિક્ષા સાથે મહિલા સહિત બે ઝડપાયાં, રૂ.1.03 લાખનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

22 બેસ્ટ બ્યુરોક્રેટસ ઓફ ઇન્ડિયા 2022 ની યાદીમાં સ્થાન મેળવતા એકમાત્ર ગુજરાતી ભરૂચના કલેકટર તુષાર સુમેરા

ProudOfGujarat

ભરૂચ : દહેજની વારંવાર માંગણીથી કંટાળેલી પરિણીતાને શું મારી નાંખવામાં આવી કે પછી ગળે ફાંસો ખાધો ? તપાસનો વિષય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!