ભરૂચ:
સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા 29 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર 2026 સુધી વિશેષ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાનમાં ભરૂચ રેલવે સ્ટેશનને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
અભિયાન અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશન તથા રેલવે પરિસરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન રેલકર્મીઓ, RPF અને GRP સ્ટાફ, મુસાફરો, કુલીઓ, વેન્ડરો તથા સફાઈ કર્મચારીઓને સ્વચ્છતાની શપથ લેવડાવવામાં આવી હતી. સૌએ પોતાના કાર્યસ્થળ તેમજ આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા, ગંદકી ન ફેલાવવા અને અન્ય લોકોને પણ સ્વચ્છતા અંગે જાગૃત કરવાનો સંકલ્પ લીધો હતો.
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને પણ સ્ટેશન પરિસરમાં કચરો અહીં-તહીં ન ફેંકવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ રેલવેના નિયમોનું પાલન કરી સ્વચ્છ અને સુંદર રેલવે પરિસર જાળવવામાં સહભાગી બનવા મુસાફરોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
વિશેષ સ્વચ્છતા અભિયાન દરમિયાન ભરૂચ સહિત વડોદરા મંડળના વિવિધ રેલવે સ્ટેશનો અને રેલવે કોલોનીઓમાં વિવિધ વિભાગોના કર્મચારીઓ તથા સફાઈ કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરા મંડળ દ્વારા આ અભિયાનના માધ્યમથી ‘સ્વચ્છતા માત્ર અભિયાન નથી, પરંતુ આપણી સામૂહિક જવાબદારી છે’ એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ રેલવે સ્ટેશન પર પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે રેલવે તંત્ર સાથે મુસાફરો અને વેપારીઓની જનભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે.
