સુરત: દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અવારનવાર મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રેલવે મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રેલવે બોર્ડ દ્વારા સુરત અને ઉદયપુર સીટી વચ્ચે નવી આધુનિક વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 26903/26904) દોડાવવા માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ નવી ટ્રેન શરૂ થવાથી બંને રાજ્યો વચ્ચેનો પ્રવાસ વધુ ઝડપી, આરામદાયક અને સુવિધાજનક બનશે. રેલવે મંત્રાલયે આ સાથે અગાઉથી ચાલી રહેલી ઉદયપુર સીટી-અસરવા વંદે ભારત એક્સપ્રેસ (26963/26964) સેવા બંધ કરવાની પણ જાહેરાત કરી છે.
અઠવાડિયામાં 6 દિવસ ચાલશે ટ્રેન સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) દોડાવવામાં આવશે. આ ટ્રેન 8 કોચ ધરાવતી આધુનિક રેક સાથે ચલાવવામાં આવશે, જેનું પ્રાઇમરી મેન્ટેનન્સ સુરત રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવશે. જ્યારે વડોદરા અને અસરવા ખાતે ટ્રેનમાં પાણી ભરવા (Watering) ની સુવિધા રહેશે.
સંપૂર્ણ સમયપત્રક (Train Timings)
-
ટ્રેન નંબર 26903 (સુરત થી ઉદયપુર સીટી): આ ટ્રેન સવારે 06:10 વાગ્યે સુરતથી ઉપડશે. રસ્તામાં સવારે 09:25 વાગ્યે અસરવા (અમદાવાદ) પહોંચી 09:30 વાગ્યે રવાના થશે અને બપોરે 13:40 વાગ્યે ઉદયપુર સીટી પહોંચશે.
-
ટ્રેન નંબર 26904 (ઉદયપુર સીટી થી સુરત): પરત ફરતી વખતે આ ટ્રેન બપોરે 15:35 વાગ્યે ઉદયપુર સીટીથી ઉપડશે. સાંજે 19:25 વાગ્યે અસરવા પહોંચી 19:30 વાગ્યે ઉપડશે અને રાત્રે 23:00 વાગ્યે સુરત પહોંચશે.
મુખ્ય સ્ટોપેજ (Commercial Stoppages) મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનને બંને દિશામાં મહત્વના વેપારી અને પ્રવાસી મથકો પર રોકાણ આપવામાં આવ્યું છે. માર્ગમાં આ ટ્રેન ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસરવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝાવર સ્ટેશનો પર ઊભી રહેશે.
આ નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવાથી વેપારીઓ, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે આવન-જાવન કરવું વધુ સરળ બની રહેશે.
