ભરૂચ :
‘મુક્તિ દિવસ’ નિમિત્તે વિચરતી-વિમુક્ત જાતિ દિનની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના માંડવા ખાતે વિશેષ સમાજ શિક્ષણ શિબિર યોજાઈ હતી. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ), ભરૂચ કચેરી અને શ્રી ગાયત્રી વિકાસ મંડળ, માંડવાના સંયુક્ત ઉપક્રમે શ્રી ગાયત્રી કન્યા છાત્રાલય ખાતે આયોજિત શિબિરમાં વિચરતી-વિમુક્ત સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને સરકારી યોજનાઓના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહાનુભાવોના પુષ્પગુચ્છથી સ્વાગત બાદ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે થઈ હતી. ઉપસ્થિત વક્તાઓએ શિક્ષણને વ્યક્તિ તથા સમાજના વિકાસનું મુખ્ય માધ્યમ ગણાવી વિચરતી-વિમુક્ત જાતિના વાલીઓને પોતાના બાળકોને શાળામાંથી અભ્યાસ અધવચ્ચે છોડાવી ન લેવા અને તેમનું શિક્ષણ પૂર્ણ કરાવવા અપીલ કરી હતી.
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા વિચરતી-વિમુક્ત જાતિના બાળકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ શિષ્યવૃત્તિઓ અને વિકાસલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પાત્ર લાભાર્થીઓ સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે તે માટે યોજનાઓની પાત્રતા અને લાભ અંગે પણ સમજ આપવામાં આવી હતી.
દરમિયાન ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાનને વેગ આપવાના હેતુથી શિબિરમાં ઉપસ્થિત લોકોને QR કોડ સ્કેન કરાવી સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી ધરાવતું ડિજિટલ ‘યોજનાકીય સંપુટ’ PDF સ્વરૂપે ડાઉનલોડ કરાવવામાં આવ્યું હતું.
શિબિરમાં જિલ્લા પંચાયતના હળપતિ અને ભૂમિહીન ખેતમજૂરોના આવાસ બાંધકામ સમિતિના ચેરમેન ગીતાબેન વસાવા, તાલુકા પંચાયત સભ્ય કરસનભાઈ પટેલ, વિચરતી-વિમુક્ત સમાજ ભરૂચના પ્રમુખ ચંદુભાઈ વાઘેલા, આગેવાન ચેતનભાઈ વાઘેલા, માંડવાના સરપંચ નવીનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી રક્ષાબેન પ્રજાપતિ, એમ.વાય. થુંથીવાલા, ગાયત્રી કન્યા છાત્રાલયના પ્રમુખ નીલાબેન પટેલ તથા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જે.આર. વસાવા સહિત મોટી સંખ્યામાં સમાજના ગ્રામજનો અને છાત્રાલયની કન્યાઓ જોડાઈ હતી.
