ભરૂચ :
ભરૂચ શહેર અને જિલ્લામાં ગણેશોત્સવની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સોમવારે શ્રીજીની સ્થાપનાને લઈને ગણેશ મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ મંડળો દ્વારા પંડાલ, લાઇટિંગ અને શણગારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે બીજી તરફ શ્રીજીની પ્રતિમાઓના આગમનનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે.
ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહેતાં અંતિમ તબક્કામાં ગણેશ પ્રતિમાની ખરીદી માટે બજારોમાં પણ ભીડ જોવા મળી રહી છે. મંગલમૂર્તિ ઉપરાંત ઘરોમાં સ્થાપના માટેના બાધાના ગણેશની પ્રતિમાઓની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. રાત્રિના સમયે વિવિધ ગણેશ મંડળો દ્વારા ઢોલ-નગારાં અને ડીજેના તાલે શ્રીજીની પ્રતિમાઓનું ધામધૂમપૂર્વક આગમન કરાવવામાં આવી રહ્યું છે.
દરમિયાન ગણેશોત્સવ અને વિસર્જન શોભાયાત્રા શાંતિપૂર્ણ તથા નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા કાયદો-વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને લઈને જરૂરી જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આગામી ૨૧ સપ્ટેમ્બરે શ્રીજી સ્થાપનાના સાતમા દિવસે આમોદ ટાઉન, જંબુસર ટાઉન, કાવી ટાઉન અને કંબોઈ ખાતે ગણેશ વિસર્જન કરવામાં આવશે.
જ્યારે ૨૫ સપ્ટેમ્બરે સમગ્ર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જન શોભાયાત્રાઓ યોજાશે. વિસર્જન શોભાયાત્રા દરમિયાન જાહેર માર્ગો પર દારૂખાનું ફોડવા તેમજ ઝટપટ પાવડરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ભરૂચ અને અંકલેશ્વરમાં શોભાયાત્રાના રૂટને ધ્યાનમાં રાખીને વિવિધ માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા જાહેર કરાયેલા નિયંત્રણો અને ડાયવર્ઝનનો મુખ્ય હેતુ ગણેશ વિસર્જન દરમિયાન કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શ્રીજીની વિદાયની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે છે.
