રાષ્ટ્ર વ્યાપી ખેડૂત આંદોલનને સમર્થ આપવા માટે ભરૂચ જીલ્લામાં ખેડૂત જગતમાં હિલચાલ ચાલી રહી છે ત્યારે ખેડૂત સમાજ ગુજરાત રાજયનાં વાલિયા એકમ દ્વારા દેશનાં રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી બહાર ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી દિલ્હીનાં ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું હતું.
આવેદનપત્રમાં આવશ્યક વસ્તુધારા – 1955 માં સંશોધન કાયદો- 2020, કૃષિ તથા કૃષિ ઉપજ અને વાણિજય વ્યાપાર કાયદો અને મૂલ્ય આશ્વાસન ઉપર કૃષિ સેવા કાયદો 2020 ને રદ કરવા અંગે માંગણી કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ખેડૂતો દ્વારા ઉત્પન્ન થતી 22 જેટલી ખેત ઉત્પન્ન વસ્તુને આવશ્યક ચીજનાં દરજ્જામાંથી કાઢી નાંખવામાં આવી છે તેથી સરકારનાં સંગ્રહખોરી પર નિયંત્રણ રહેશે નહીં જેથી કોર્પોરેટ કંપનીઓ સ્થાપિત હિતો અને મૂડીવાદીઓ સંગ્રહખોરી કરી આવશ્યક ચીજ વસ્તુઓને કાળા બજાર કરે તેવી સંભાવના છે. આવા સંદર્ભમાં હાલમાં જે કૃષિ કાયદો ઘડવામાં આવ્યો છે તેને રદ કરવા અંગે માંગણી કરવામાં આવી છે. વાલિયા તાલુકા ઉપરાંત અન્ય તાલુકાઓમાં આવા આવેદનપત્ર પાઠવાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે હાલમાં ચાલતા રાષ્ટ્ર વ્યાપી ખેડૂત આંદોલનમાં ભરૂચ જીલ્લાનાં ખેડૂતો પણ સમર્થન આપે તેવી લાગણી ફેલાઇ ગઈ છે.
ભરૂચ : રાષ્ટ્રીય સ્તરે ચાલતા ખેડૂત આંદોલનને ખેડૂત સમાજ ગુજરાતનાં વાલિયા શાખાનું સમર્થન.
Advertisement