માંડવી ના પુના ગામે આશ્રમ ફળિયામાંથી એક દીપડો રાતે પાંજરે પુરાયો હતો. છેલ્લા કેટલાક સમયથી દીપડો રહેણાક વિસ્તારમાં આવી ચઢતો હોય ગ્રામજનોએ વન વિભાગને ફરિયાદ કરી હતી જેના આધારે વન વિભાગે પાંજરું ગોઠવતા દીપડો પીંજરામાં કેદ થઈ ગયો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાના પુના ગામ આશ્રમ ફળિયામાં રહેતા ગોવિંદભાઈ કમળભાઈ ચૌધરીના ઘર નજીક અવાર નવાર દીપડો આવી ચઢતો હતો. ગ્રામજનોએ દીપડાને પકડવા માટે વન વિભાગને લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદને આધારે વન વિભાગની ટીમ દ્વારા મંગળવારના રોજ ગોવિંદભાઈના ઘર નજીક મારણ સાથે એક પીંજરુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં રાત્રિના બે વાગ્યાની આસપાસ એક દીપડો પીંજરામાં કેદ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા. વન વિભાગે દીપડાનો કબ્જો લઈ તેનું તબીબી પરીક્ષણ બાદ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.
જીતેન્દ્ર સોલંકી. માંડવી
