ભરૂચ જિલ્લાના ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા પેન્શનર ડેની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પેન્શનર સભાસદો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે લાંબા સમય સુધી સરકારી સેવા આપીને નિવૃત્ત થયેલા પેન્શનર ભાઈઓનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પેન્શનરોને મળતી વિવિધ લાભદાયી સરકારી યોજનાઓ, આરોગ્ય સંબંધિત સુવિધાઓ તેમજ સંસ્થાની ભવિષ્યની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમની અધ્યક્ષતા ભરૂચ જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ પરસોતમ આહીરે કરી હતી. તેમણે પોતાના પ્રવચનમાં સંસ્થાની કામગીરી, હેતુ અને પેન્શનરોના હિત માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. સાથે જ નવા સભ્યોને સંસ્થામાં જોડાવા આવકાર આપ્યો હતો. કાર્યક્રમ અંતે સૌ પેન્શનરોમાં એકતા અને સહકાર સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.
