માંગરોળનાં વાંકલ ખાતે સામાજિક વનીકરણ વિભાગ માંગરોળ રેન્જ દ્વારા બનાવવામાં આવેલ પંચવટી વિકાસ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને સખી મંડળની બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
વાંકલ ખાતે સાંઈ મંદિરની પાછળ વનવિભાગ દ્વારા નિર્માણ કરાયેલ પંચવટી વિકાસ કેન્દ્રનું માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. તાજેતરમાં રાષ્ટ્રપતિના હસ્તે નારી શક્તિ પુરસ્કાર મેળવનાર સાગબારાનાં ઉષાબેન વસાવાનું પણ ગણપતસિંહ વસાવાના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. માંગરોળ અને ઉંમરપાડા તાલુકાની સખીમંડળની મહિલાઓને સ્વનિર્ભર બનવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંજૂર થયેલ કેટલશેડના લાભાર્થીઓને વર્કઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સખીમંડળની બહેનોનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
માંગરોળ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે મહિલાઓ પણ હવે સંઘર્ષ કરીને આગળ વધી રહી છે. અનેક કામો કરી આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કર્યો છે. નારીશક્તિ પુરસ્કાર મેળવનાર ઉષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, મને મળેલ પુરસ્કાર એ ટીમ વર્કનું પરિણામ છે અને મહિલાઓએ સ્વનિર્ભર બનવા માટે પ્રયત્નો કરવા જોઈએ.દરેક બહેને નાનકડા બચતની શરૂઆત કરવી જોઈએ.
આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, જીલ્લા પંચાયતના સદસ્યો, માંગરોળ ઉમરપાડાના તાલુકા પંચાયતના સદસ્યો, માંગરોળ રેન્જના આર.એફ.ઓ જે.જી. ગઢવી, વનકર્મીઓ, સખીમંડળની મહિલાઓ તેમજ ભાજપનાં વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતાં.
વિનોદ મૈસૂરિયા : વાંકલ