માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કોરોના વાયરસનો કહેર વધતા ઝંખવાવ ગામની એક કોરોના વાયરસ પોઝીટીવ મહિલાનું કરૂણ મોત થયું છે. જ્યારે ઉમરપાડા તાલુકાના ખોડંબા ગામના કોરોના વાયરસ પોઝીટીવ દર્દીના ઘરના બે નાના બાળકોના રિપોર્ટ પોઝીટીવ આવતા બંને બાળકોને સારવાર માટે સુરત લઇ જવાયા છે. માંગરોળ તાલુકામાં અગાઉ વસરાવી અને બોરીયા ગામે કોરોના વાયરસનો પોઝીટીવ કેસ નોંધાયા હતા ત્યારબાદ વધુ એક પોઝીટીવ કેસ ઝંખવાવ ગામની મહિલાનો નોંધાયો અને આ મહિલાનું કરૂણ મોત નીપજવાની ઘટના બની છે.ઝંખવાવ ગામના ગુરુજીનગરમાં રહેતા સવિતાબેન દેવસીંગભાઇ વસાવા ઉ.વ.૬૦ અગાઉથી શ્વાસની બિમારીથી પીડાતા હતા ત્યારબાદ છેલ્લા બે ત્રણ દિવસથી તેમને શ્વાસની બિમારી સાથે માથાનો દુખાવો થતા તેઓ ભરૂચ ખાતેની એક હોસ્પીટલમાં સારવાર માટે ગયા હતા. તા.૨૮ મીના રોજ ફરી શ્વાસ લેવામાં તકલીફ સાથે માથાનો દુખાવો વધતા સવિતાબેનને માંડવી સ્થિત એક હોસ્પીટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને ત્યાંથી બારડોલી એક ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઇ ગયા ત્યારબાદ સુરત સિવિલમાં લઇ જવાતા દર્દીને સારવાર આપી સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને રાત્રે ૧૨:૩૦ કલાકે આ મહિલાનું મોત થઇ ગયું હતું. સરકારી તંત્ર દ્વારા તેમના અંતિમ સંસ્કાર સુરતમાં કરવામાં આવ્યા હતા. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા ઝંખવાવ ગામના ગુરુજી નગરના ૭૩ જેટલા ઘરોમાં રહેતા કુલ ૩૪૦ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ઉમરપાડાનાં ખોડમ્બા ગામના ખેડૂત શુક્કરભાઇ જાનીયાભાઇ વસાવા પોઝીટીવ દર્દી જાહેર થતા તેમના પરિવાર સહિત આજુબાજુનાં ૧૩ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ તા.૨૮ મી ના રોજ આવ્યો હતો. દર્દીના પુત્ર સુરેશના બે નાના પુત્રો કુષાંગકુમાર સુરેશભાઇ વસાવા ઉં.વ.૭ તેમજ વૈદિક સુરેશભાઇ વસાવા ઉં.વ.૩ ના રીપોર્ટ પોઝીટીવ આવતા બંને બાળકોને તેમના દાદા શુક્કરભાઇથી ચેપ લાગ્યાનું માનવામાં આવી રહ્યું છે.
માંગરોળ : ઉંમરપાડા તાલુકામાં કોરોનાનો કહેર વધ્યો ઝંખવાવની કોરોના ગ્રસ્ત મહિલાનું મોત.
Advertisement