Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

જિલ્લા પ્રભારી સચિવશ્રી હૈદરના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની મળેલી બેઠક

Share

નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એસ. જે. હૈદરે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં લોકપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ થતાં લોકપ્રશ્નો અને રજૂઆતોનો નિયત સમયાવધિમાં વાજબી, યોગ્ય અને ઝડપી ઉકેલ આવે તે જોવા અને જિલ્લાની સામૂહિક સમસ્યાઓનો ઉકેલમાં જુદા જુદા વિભાગો વચ્ચેનું સંકલન વધુ સુદ્રઢ બને તેવા ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરવા અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો છે.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.આર. ધાકરે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર, સંસદસભ્યોશ્રી મનસુખભાઇ વસાવા અને શ્રી રામસિંહભાઇ રાઠવા, ધારાસભ્યો શ્રી પી.ડી. વસાવા અને શ્રી મહેશભાઇ વસાવા ઉપરાંત જિલ્લ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા પ્રભારી સચિવશ્રી એસ.જે. હૈદરે ભૂતકાળમાં રજૂ થયેલા અને સંતોષકારક નિકાલ ન થયા હોય તેવા પ્રશ્નોનો યોગ્ય રીતે પુનઃ નિકાલ થાય તેવી કાર્ય વ્યવસ્થા ઉભી કરવા ઉપરાંત સ્થાનિક અને જિલ્લાકક્ષાએ નિકાલ બાદના રાજ્યકક્ષાએ ૬ માસથી વધુ સમયથી પડતર રહેલા પ્રશ્નોની અલાયદી સૂચિ તૈયાર કરીને જિલ્લા કલેક્ટરશ્રીના માધ્યમથી તેના યોગ્ય નિકાલ માટે પ્રભારી સચિવશ્રીને મોકલવાની પણ તેમણે હિમાયત કરી હતી.

Advertisement

બેઠકમાં સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા તરફથી જિલ્લાના દેડીયાપાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેની બસોના શિડ્યુલ સંદર્ભે, વડોદરા તરફથી કે મહારાષ્ટ્ર તરફથી આવતા ભારે વાહનો રાજપીપલા શહેરમાં પ્રવેશવાને બદલે બારોબાર બાયપાસ માર્ગે પસાર થાય તેવી કાયમી વ્યવસ્થા ઉભી કરવા તેમજ રાજપીપલાની નવી સિવિલ હોસ્પિટલના બાંધકામની પ્રગતિ સંદર્ભે તેમજ જિલ્લામાં તબીબોની ઘટ પુરવા તેમજ સામાન્ય તકલીફવાળા દરદીઓને વડોદરા કે અન્ય સ્થળે રિફર ન કરતા અહીં જ યોગ્ય સારવાર મળી રહે તેવી કરાયેલી રજુઆત સંદર્ભે પ્રભારી સચિવશ્રી હૈદરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સાથોસાથ ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા અને શ્રી મહેશભાઇ વસાવાએ પણ એસ.ટી. સેવાને લગતી કેટલીક રજૂઆત કરી હતી. તદ્ઉપરાંત દેડીયાપાડામાં ગત વર્ષે વેપારી દ્વારા ખેડૂતોના પાક ઉત્પાદનની ખરીદીની રકમ ચૂકવણી બાબતે તેમજ સાગબારા તાલુકા વિકાસ અધિકારીની કાયમી નિમણૂંકની જરૂરીયાત સંદર્ભે પણ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવાની રજુઆત આ બેઠકમાં કરાઇ હતી.

જિલ્લા પ્રભારી સચિવશ્રી એસ.જે. હૈદરે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સંબંધિત કચેરીઓના વડાઓ જાતે અચૂકપણે હાજર રહે તે જોવા અને સમયાંતરે તેની સમીક્ષા કરી યોગ્ય પગલાં લેવા, આગામી ૨૦૧૮-૧૯ માં ખાસ વિકાસના કામો કે અન્ય નવિન બાબતો હાથ ધરવા માંગતા હોય તેવા પ્રોજેક્ટની દરખાસ્ત અત્યારથી જે તે વિભાગમાં ઉચ્ચકક્ષાએ મોકલવા પણ સૂચન કર્યું હતું.

પ્રભારી સચિવશ્રી એસ. જે. હૈદરે જિલ્લા સંકલન સમિતિને લગતા રૂટીન તમામ પ્રકારના મુદ્દાઓની સમીક્ષા કરતા ખાસ રેકર્ડ વર્ગીકરણની બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની હિમાયત કરી હતી અને કચેરીના વડાઓને તેમના રેકર્ડ રૂમની સમયાંતરે નિયમિતપણે મુલાકાત લેવા, કચેરી કાર્યપધ્ધતિ મુજબ તેના વર્ગીકરણ તેમજ નિકાલની સમયમર્યાદામાં કાર્યવાહી કરવા ઉપરાંત RTI, બજેટ મેકીંગ, આરોગ્ય, શિક્ષણ, રોજગારી, ઉદ્યોગ વગેરે જેવા વિષય તજજ્ઞોના વર્કશોપનું સમયાંતરે આયોજન ગોઠવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં શ્રી હૈદરે વિકાસશીલ સાગબારા તાલુકો, સેવા સેતુ, એટીવીટી, ન્યુટ્રીશન, દુધ સંજીવની યોજના, કૃષિ, ઉદ્યોગ, વિજ જોડાણ, પાણી પુરવઠા, આધાર એનરોલમેન્ટ, આધાર લિંકેજ, ઇકો ટુરીઝમ-પ્રવાસન-યાત્રાધામ-વિકાસ વગરે દિશામાં જિલ્લામાં થયેલી કામગીરીની પણ તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવીને સમીક્ષા કરી હતી અને જરૂરી રચનાત્મક સૂચનો પણ કર્યા હતાં.


Share

Related posts

ઝઘડિયાન‍ા વીજ સબ સ્ટેશનમાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા ૨૦ જેટલા ગામોનો વીજ પુરવઠો ખોરવાયો

ProudOfGujarat

પાવીજેતપુર તાલુકાનાં કોલીયારી ગામમાં થયેલા મનરેગાનાં કૌભાંડ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરતાં તેમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું જણાતા ગ્રામ રોજગાર સેવક (જી.આર.એસ.) તથા તાલુકા પંચાયતનાં મનરેગા વિભાગનાં ટેકનીકલ આસિસ્ટન્ટને સસ્પેન્ડ કર્યા છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વાવાઝોડા વચ્ચે કોવિડની સુવિધા ઠપ ન થાય તે માટે તંત્ર એલર્ટ !

ProudOfGujarat
error: Content is protected !!