Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકશાહીના મહાપર્વને લઈને ગરૂડેશ્વર તાલુકાના મોટા પીપરીયા ગામે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા વયોવૃદ્ધ મતદારોનો મક્કમ નિર્ધાર.

Share

નર્મદા જિલ્લામાં આગામી તા.૧ લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં નર્મદામાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોથી લઈને વયોવૃદ્ધ એટલે કે ૮૦ વર્ષ કે તેથી વધુ વયના સૌ મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં નર્મદા જિલ્લામાં એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવા માટે થનગની રહી છે, તો બીજી તરફ વૃદ્ધ મતદારો વૃદ્ધાવસ્થામાં પણ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા ભારે ઉત્સુક જણાઈ રહ્યાં છે. આવા જ એક વૃદ્ધ મતદાર ગરૂડેશ્વર તાલુકાના મોટા પીપરીયા સ્થિત આદિવાસી સેવા સંઘ સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા કોકિલાબેન કંચનભાઈ પંચોલી ૯૧ વર્ષની ઉંમરે પણ નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં તેઓ અચૂક મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવશે.

Advertisement

લોકશાહીના મહાપર્વમાં યુવાનોને પણ શરમાવે તેવા ઉત્સાહ સાથે નર્મદા જિલ્લાના વયોવૃદ્ધ અને શતાયુ મતદારો ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે. કોકિલાબહેન પંચોલી વર્ષ ૨૦૦૮ થી જ મોટા પીપરીયાના વૃદ્ધાશ્રમમાં રહે છે. આગામી તા.૧ લી ડિસેમ્બરે મતદાન માટે ઉત્સાહી કોકિલાબહેન જણાવે છે કે, અમને જ્યારથી મતદાન કરવાનો પ્રથમ અવસર મળ્યો ત્યારે ખૂબ ઉત્સાહ હતો આજે પણ એવો જ ઉત્સાહ મતદાન માટે રહેલો છે. તે વખતે બેલેટ પેપરથી મતદાન થતું હતુ હવે ટેક્નોલોજીના સમયમાં મશીન(EVM)થી મતદાન થાય છે પરંતુ મતદાન એ આપણી પવિત્ર ફરજ છે અને આપણા મતનું મૂલ્ય સમજી અવશ્ય મતદાન કરવું જોઈએ તેવી તેમણે સૌ મતદારોને અપીલ પણ કરી હતી.

મોટા પીપરીયા વૃદ્ધાશ્રમમાં જ વર્ષ ૨૦૦૮ થી રહેતા સુમનભાઈ પરસોત્તમભાઇ માછી પણ ઉમળકા સાથે કહે છે કે, ભલે અમારી ઉંમર થઈ છે અને વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ. પરંતુ ભારત દેશના નાગરિક તરીકે મળેલી મતદાનની પવિત્ર ફરજ અદા કરવા માટે આજે પણ જુસ્સો તો એવો જ છે. મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. જો અમારા જેવા વૃદ્ધ મતદારો મતદાન કરવા જઈ શકતા હોય તો પાંચ વર્ષમાં એકવાર આવતા આ લોકશાહીના ઉત્સવમાં યુવાનોએ સહભાગી થઈને અવશ્ય મતદાન કરવું જોઈએ તેવો પ્રેરક સંદેશ તેઓ આવી રહ્યાં છે.

આ વૃદ્ધાશ્રમમાં ૧૫ વર્ષથી રહેતા ગોલજીભાઈ લલ્લુભાઈ તડવી અને ૧૨ વર્ષથી રહેતા મગનભાઈ ધોળાભાઈ તડવી પણ ચૂંટણીમાં અવશ્ય મતદાનના સંકલ્પ સાથે ઉત્સાહભેર જણાવી રહ્યાં છે કે, આ તો આપણા સૌનો ઉત્સવ છે. લોકશાહીના આ મહાપર્વમાં આપણે સૌ નાગરિકોએ સહભાગી બની મતદાન કરીને આ પર્વની ઉજવણીમાં સહભાગી બવનું જોઈએ.

આ વખતે ચૂંટણી તંત્ર દ્વારા ૮૦ વર્ષથી ૧૦૦ વર્ષની વયના વરિષ્ઠ મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા લઈ જવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જરૂરિયાત ધરાવતા વૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી લાવવામાં આવશે, મતદાન કર્યા બાદ ઘરે પરત પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત કોઈ ઉંમરલાયક મતદાર મત આપવા માટે મતદાન કેન્દ્ર સુધી ન આવી શકે તેમ હોય તો ચૂંટણી અધિકારીઓ તેમના ઘરે જશે, અને તેમની પાસે મતદાન કરાવશે. તેમને એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સમગ્ર પ્રકિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી વખતે તેમના મતની ગણતરી કરવામાં આવશે. તેઓ મતદાન કરશે ત્યારે તેમના વિસ્તારના ઉમેદવારો પણ હાજર રહેશે અને સમગ્ર મતદાન પ્રકિયા વયોવૃદ્ધ મતદારના ઘરે જ થશે, તેવી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીમાં ધંધાકીય હરિફાઇની રીસ રાખીને મશીનરી અને સાધનો તોડી નાંખ્યા.

ProudOfGujarat

નડીયાદ : ઠાસરા પાસે જમીનમાં ખાડો ખોદી મોટી માત્રામાં સંતાડેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ વધેરવાની માંગ સાથે ભરૂચ AHP અને રાષ્ટ્રીય બજરંગ દળે કલેક્ટરને આવેદન આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!