ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં દુમાલા માલપુર ગામે ગઈ તા. ૮.૧૧.૨૦ ના રોજ એક યુવાનનો ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેમાં પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાના વહેમે ગામના જ એક યુવાને તેની હત્યા કરી હોવાની દહેશત મૃતકની માતાએ વ્યક્ત કરી હતી. આ અંગે વિસ્તૃત વિગતો જોતા ઝઘડિયા તાલુકાનાં દુમાલા માલપુર ગામે રહેતી પુષ્પાબેન વસાવાને સંતાનમાં બે છોકરા અને ત્રણ છોકરીઓ છે. જેમાં સૌથી નાનો દીકરો કિરણ વસાવા ઉં. ૨૮ છે. ગયા સપ્તાહે ગામમાં જ એક મરણ પ્રસંગમાં રાત્રિના સમયે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં ફરિયાદી પુષ્પાબેન તથા તેનો દીકરો કિરણ સહિત અન્ય વ્યક્તિઓ પણ હાજર હતા. તે સમયે ગામમાં રહેતો સુનિલ વસાવા નામનો ઇસમ ત્યાં આવીને અંદાજિત ૧૦ વર્ષ પહેલા તેની પત્ની સાથે કિરણ વસાવાને આડો સંબંધ હોવાના વહેમે કિરણ સાથે ગાળાગાળી કરી હતી. જે ઝઘડામાં ફરિયાદી પુષ્પાબેન વચ્ચે પડતા આરોપી સુનિલ વસાવા એ પુષ્પાને થપ્પડ મારી હતી. જેથી પુષ્પા તેના દીકરાને લઈને ત્યાંથી પોતાના ઘરે જતી રહી હતી. જે બાબતની રીસ રાખી સુનિલ ફરી કિરણનાં ઘરે ગયો હતો અને કિરણ સાથે મારામારી કરી હતી. બાદમાં કિરણ વસાવા પોતાના ઘરેથી ગુમ થયો હતો. જ્યારે ગઈ તારીખ ૮.૧૧.૨૦ ના રોજ સવારે ગામના એક ખેતરમાં લીમડાના ઝાડ સાથે તેની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી જે બાબતે માતાની ફરિયાદના આધારે ઝઘડિયા પોલીસે તપાસ હાથ ધરી હતી. અંતે પી.એમ રિપોર્ટમાં કિરણની હત્યા થયા બાદ તેને લટકાવી દેવામાં આવ્યો હોવાનું તારણ જણાતા ઝઘડિયા પોલીસે સુનિલ સુકા વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેના વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ