Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ટોઠીદરા ગામે રેતમાફિયાઓ દ્વારા નર્મદામાં ગેરકાયદેસર બનાવેલ પુલિયા તોડી નંખાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ટોઠીદરા તરસાલી પાણેથા પંથકમાં નર્મદાના વિશાળ પટમાં લાંબા સમયથી રેતખનન કરવામાં આવે છે, જે પૈકી કેટલાક સ્થળોએ નર્મદામાં ગેરકાયદેસર રીતે નદીના ચાલુ પ્રવાહમાં ભુંગળા નાખી પુલિયા બનાવાય છે. તેના પરથી ઓવરલોડ રેતી ભરી ટ્રકો પસાર કરવામાં આવે છે. ઝઘડિયા તાલુકાના ભાલોદ પંથકના ટોઠીદરાના ખેડૂતો તથા ગ્રામજનોની મુખ્યમંત્રી સુધીની પુલિયા તોડવાની રજૂઆત બાદ પણ ખાણ ખનીજ વિભાગ અને ઝઘડિયા મામલતદાર દ્વારા તાકીદે કોઇ કામગીરી કરવામાં આવી ન હતી.

આખરે આજરોજ ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ તથા ઝઘડીયા મામલતદાર દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી ટોઠીદરા ગામે નર્મદામાં બનાવેલ ગેરકાયદેસર પુલિયા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને લઇને રેત માફિયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાને કુદરતે વિપુલ ખનીજ સંપતિની બક્ષીશ આપી છે. ત્યારે ખનીજ માફિયાઓ આડેધડ ખનીજ ખનન કરતા હોવાની લોક ફરિયાદો લાંબા સમયથી ઉઠવા પામી છે. તાલુકામાં રેતી ઉપરાંત પત્થરની લીઝો, સિલિકાનો વ્યવસાય જેવા ખનીજ આધારિત ધંધાઓ ખુબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. આટલા મોટા જથ્થામાં ખનીજ સંપતિ હોવાથી ખરેખર તાલુકો એક નંદનવન જેવો બનવો જોઇએ, પરંતું ખનીજ માફિયાઓનો વિકાસ થઇ રહ્યો છે, બિચારા ગરીબ આદિવાસીઓની દશા ઠેરની ઠેર જણાય છે. આ બાબતે સ્થાનિક નેતાગીરી પણ ખામોશ જણાય છે. તાલુકાની વિપુલ ખનીજ સંપતિને બે હાથે લુંટતા ખનીજ માફિયાઓને તાલુકા જિલ્લાના અધિકારીઓ છાવરતા હોવાની બુમો પણ ઉઠી રહી છે, ત્યારે રેતી ઉપરાંત પત્થરની લીઝો સિલિકાની બાબતે પણ નિયમો જળવાય છેકે પછી ઘીના ઠામમાં ઘી પડ્યુ રહે છે, તેની તટસ્થ અને ન્યાયિક તપાસ થાયતો ઘણી ગેરરીતિઓ બહાર આવવા સંભવ છે. તાલુકાની મોટાભાગની વસતી ગરીબ આદિવાસી પ્રજાની છે, ત્યારે ગરીબ જનતાના ભોગે ખનીજ માફિયાઓ બેફામ બને તે ચલાવી લેવાય નહિ. જિલ્લા ભુસ્તર વિભાગ દ્વારા સઘન તપાસ કરીને સંભવિત ગેરરીતિઓ પકડી પડાય એમ તાલુકાની જનતા પણ આશા રાખે છે. જિલ્લામાં રેતી સિવાય પણ ઘણીબધી ખનીજ સંપતિ છે, ત્યારે તાલુકાના જવાબદાર અધિકારીઓ અને જિલ્લા ભુસ્તર વિભાગ દ્વારા જો બધા ખનીજ ખનન બાબતે અસરકારક કામગીરી શરુ કરવામાં નહિ આવે તો આ બાબતે નજીકના ભવિષ્યમાં આરટીઆઇ પણ માંગવામાં આવનાર હોવાની વિગતો સામે આવી છે. ત્યારે હવે જોવું રહ્યુ કે તાલુકા જિલ્લાના અધિકારીઓ આ બાબતે આગળ આવે છે કે કેમ? વધુમાં મળતી વિગતો મુજબ તાલુકાના રાજપારડી ગામે જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે. કેટલાક એજન્ટો દ્વારા કોલસાનો કાળાબજાર કરાતો હોવાની પણ બુમો ઉઠવા પામી છે, ત્યારે આ બાબતે પણ સઘન તપાસ હાથ ધરાય તે જરુરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પાલેજ કે પી એસ સ્કૂલ ખાતે આઇ.જી.પી. ની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરત ક્રાઈમ બ્રાન્ચે બાંગ્લાદેશી યુવકને નકલી ડોક્યુમેન્ટ બનાવી આપનાર બે આરોપીની ધરપકડ કરી

ProudOfGujarat

ભરૂચના શુક્લતીર્થ ગામની નર્મદા હાઈસ્કૂલનું ધો.12 સાયન્સનું 68.9% પરિણામ આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!