અંકલેશ્વરના દઢાલ ગામ નજીક અમરાવતી ખાડીમાંથી મળી આવેલા અજાણ્યા મૃતદેહના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતદેહ ભરૂચની કંપનીમાં નોકરી કરતા 35 વર્ષીય પરેશ વસાવાનો હોવાનું સામે આવ્યા બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે અંકલેશ્વર રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, તા. 17 જૂનના રોજ પરેશ વસાવા ઘરેથી પોતાની મોટરસાયકલ લઈને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પણ તેમનો કોઈ પત્તો ન મળતા ગુમ થયાની નોંધ કરાવવામાં આવી હતી.
દરમિયાન તા. 20 જૂનના રોજ દઢાલ ગામથી સાગબારા ફાટક તરફ જતાં પુલ નીચે અમરાવતી ખાડીના પાણીમાંથી એક અજાણ્યા પુરુષનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહના ડાબા હાથ પરનું ટેટૂ અને જમણા હાથમાં બાંધેલો લાલ દોરો સહિતના નિશાન પરથી પરિવારજનોએ મૃતકની ઓળખ પરેશ વસાવા તરીકે કરી હતી.
મૃતકની પુત્રી સંજનાબેન વસાવાએ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવાનના માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું.
વધુમાં, પરેશ વસાવા જે મોટરસાયકલ લઈને ઘરેથી નીકળ્યા હતા તે બાઇક નંબર GJ-16-DF-5967 હજુ સુધી મળી આવી નથી. જેના કારણે પોલીસે હત્યા સાથે બાઇક ગાયબ થવાના મુદ્દે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીની ઓળખ, હત્યાનું કારણ અને ગુમ થયેલી મોટરસાયકલ અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
