ભરૂચના તવરા રોડ પર આવેલા આર.કે. કાઉન્ટીમાં રહેતી પરિણીતાએ પતિ વિરુદ્ધ મારઝૂડ અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. ફરિયાદ મુજબ દહેજ ખાતે કેમિકલ ઈજનેર તરીકે ફરજ બજાવતા પતિએ પત્નીને “હવે હું તારો અને બન્ને પુત્રીઓનો ખર્ચ નહીં ઉપાડું” કહી તકરાર બાદ કમરપટ્ટાથી માર માર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ સાધનાબેનના લગ્ન વર્ષ ૨૦૧૮માં હિન્દુ રીતરિવાજ મુજબ અવિનાશ પરસરામ થેટે સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન દંપતીને બે પુત્રીઓ છે. ગત ૧૮ ઓગસ્ટના રોજ મોટી પુત્રી બીમાર પડતાં બંને તેને સારવાર માટે દવાખાને લઈ ગયા હતા. ડોક્ટરે દવાઓ લખી આપ્યા બાદ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાની વાતને લઈને પતિ-પત્ની વચ્ચે મતભેદ થયો હતો.
ત્યારબાદ સાંજના સમયે ઘરે હોલમાં બેઠા હતા ત્યારે પતિએ પત્ની પર પુત્રીઓનું ધ્યાન નહીં રાખતી હોવાનો અને ઘરની સાફ-સફાઈ નહીં કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતાં પતિએ “હવે હું તારો અને બન્ને પુત્રીઓનો ખર્ચ નહીં ઉપાડું” કહી પત્ની સાથે તકરાર કરી હતી. આ દરમિયાન કમરપટ્ટાથી માર મારી ઈજા પહોંચાડ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
સાધનાબેનનો વધુ આક્ષેપ છે કે છેલ્લા દોઢ વર્ષથી પતિ નાની-નાની બાબતોમાં તેમની સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. આખરે તેમણે પોતાના પિતાને જાણ કરતાં તેઓ ભરૂચ આવ્યા હતા અને સાધનાબેન તથા તેમની બન્ને પુત્રીઓને પોતાની સાથે લઈ ગયા હતા.
પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવા પરિવારજનો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સમાધાન નહીં થતાં અંતે સાધનાબેને ભરૂચ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
