ભરૂચ:
ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત અગ્રણી સંસ્થા એન્થ્રોપોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (Anthropological Survey of India) ની સંશોધક ટીમે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રૂપઘાટ ગામ ખાતે માનવશાસ્ત્રીય અને આરોગ્ય વિષયક વિસ્તૃત સર્વેક્ષણ હાથ ધર્યું છે. આ સર્વેનો મુખ્ય હેતુ સ્થાનિક જનજાતિ સમુદાયોના સામાજિક, સાંસ્કૃતિક, શારીરિક અને આનુવંશિક લક્ષણોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો છે.
કેન્દ્રીય સંશોધક ટીમે ગામના વિવિધ પરિવારોની મુલાકાત લઈને વસ્તી સંબંધિત માહિતી એકત્રિત કરી હતી. સાથે જ ગ્રામજનોના સામાન્ય સ્વાસ્થ્યની તપાસ, લોહીના નમૂનાઓનું પરીક્ષણ અને શારીરિક માપણી જેવી પ્રક્રિયાઓ પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવી હતી. આ અભ્યાસના આધારે અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોની આરોગ્ય સ્થિતિ અને જિનેટિક પ્રોફાઈલ અંગે મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે.
સંશોધકોના જણાવ્યા મુજબ, આવા રાષ્ટ્રીય સ્તરના સર્વેક્ષણોથી જનજાતિ સમુદાયોની જીવનશૈલી, પરંપરાઓ અને આરોગ્ય સંબંધિત પડકારોને વધુ સારી રીતે સમજી શકાશે. તેના આધારે ભવિષ્યમાં આદિજાતિ વિસ્તારો માટે વધુ અસરકારક કલ્યાણકારી યોજનાઓ ઘડવામાં, આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવામાં તેમજ તેમના સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે નીતિગત નિર્ણયો લેવામાં મદદ મળશે.
સર્વેક્ષણ દરમિયાન સ્થાનિક ગ્રામજનો, આરોગ્ય વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોએ કેન્દ્રીય ટીમને જરૂરી વહીવટી અને સામાજિક સહયોગ પૂરો પાડ્યો હતો, જેના કારણે સમગ્ર કામગીરી સુચારૂ રીતે સંપન્ન થઈ હતી.
