ઓપરેશન સિંદૂરને લઇને ખાસ પ્રદર્શની યોજાઇ, કૃતિઓથી જે આવક થશે તે દેશના શહિદોના પરિવારને જશે
ભરૂચ.
ઓપરેશન સિંદૂર અંતર્ગત હાલમાં ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતીમાં ભારતિય સેનાના જવાનો પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને મ્હાત આપી રહ્યાં છે. ત્યારે આવા સેનાનીઓ તેમજ યુદ્ધમાં શહિદ થયેલાં કે ઇજાગ્રસ્ત થયેલાં સૈનિકોના પરિવારને સહાયરૂપ થવા માટે આઇઆઇસીસી( ઇન્ડિયન ઇસ્લામિક કલ્ચરલ સેન્ટર ) દ્વારા દિલ્હી ખાતે ખાસ જશ્ન-એ-ખત્તાતી એક્ઝીબિશન રાખ્યું છે. જેમાં દેશભરના કેલીગ્રાફિ આર્ટિસ્ટોએ પોતાની ઉત્કૃષ્ટ કૃતિઓ પ્રદર્શનીમાં મુકી હતી. આ કૃતિઓના વેચાણથી જે પણ આવક ઉભી થાય તે આવક દેશના શહિદ સૈનિકોના પરિવારને આપવામાં આવશે.

આ એક્ઝિબીશનમાં દેશભરમાંથી 17 જેટલાં કલાકરોએ પોતાના આર્ટ્સને પ્રદર્શનીમાં મુુક્યાં હતાં. જેમાં ગુજરાત રાજ્યમાંથી એક માત્ર ભરૂચના યુસુફ હુસેન ગોરી સહિત મો. મોહસિનઉલ હક, મો. ઝૂબેર, શમીમ કૂરેશી, અમાન હૂસેન, સીમા હૂસેન, કહકશાન નઝનીન, સાઇકા રશીદ, સના નાઝ, સઇદા સુફી અલી, શબનમ, સાફયા ઇર્શાદ, મુસાબ આદીલ, સમીના આલમ, સદાફ અખ્તર, અબ્દુલ મન્નાન તેમજ દરખશા એન બુતુલ ઝૈદી જેવા કલાકારો જોડાયાં હતાં.
ભરૂચના કેલીગ્રાફી આર્ટીસ્ટ યુસુફ ગોરીએ જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે યોજાયેલાં આ એક્ઝિબિશનમાં અમે જે પણ કૃતિઓ રજૂ કરી છે તેનાથી થનારી આવક દેશના શહીદોના પરિવારજનોને આપવામાં આવશે. ત્યારે અમારા જેવા કલાકારો માટે આ ગર્વની વાત છે કે, તેઓ શહિદોના પરિવારજનો માટે કોઇ યોગદાન આપી શક્યાં. એક નાગરિક તરીકે આપણી રક્ષા કરનારા સૈનિક માટે અમારી આ શ્રદ્ધાંજલી છે અને આપડા માટે પ્રાણ ન્યોછાવર કરનારા સૈનિકોના માટે અમે કાંઇક કરી શક્યાં એ અમારૂ સદભાગ્ય છે.
