ભરૂચ.
ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા દેરોલથી વિલાયત સુધીના બિસ્માર માર્ગને લઈને ગુરૂવારે વિલાયત ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન કરાયું.
ભરૂચ જિલ્લામાં બિસ્માર માર્ગોના સમારકામને લઈ કોંગ્રેસ દ્વારા અગાઉ નેત્રંગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ ભરૂચ કાર્યપાલક ઈજનેરને રજુઆત કરવામાં આવી હતી. તે સમયે અધિકારીએ દિન 7માં બિસ્માર માર્ગોના સમારકામની બાંહેધરી આપી હતી, પરંતુ
વારંવાર R & B અધિકારીઓ યોગ્ય ધ્યાન નહીં આપતા આજરોજ પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ અને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ, જાબીર પટેલ, અક્ષયસિંહ રાજ સહિતના કોંગ્રેસીઓએ વિલાયત ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું. તાત્કાલિક દેરોલથી વિલાયત સુધી, વાલિયા-અંકલેશ્વર માર્ગ તેમજ જંબુસર રોડ સહિત અન્ય બિસ્માર માર્ગોની મરામતની માંગ કરી. જો સમારકામ નહિ કરાઈ તો ભરૂચ-અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગની કચેરીઓને તાળાં બંધીની ચીમકી ઉચ્ચારી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા 18 જેટલા કોંગી આગેવાનોની વાગરા પોલીસે અટકાયત કરી હતી.
