અન્ય સ્થળેથી દૂધ મંગાવી પોતાની ડેરી થકી કંપનીઓમાં સપ્લાય આપે છે : ઘનશ્યામ પટેલ
ભરૂચ!
ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને રાજકિય ગરમાવો દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેમાં આ વખતે વાગરાના ધારાસભ્ય અરૂણસિહે પેનલ ઉતારતાં આગામી ૧૯મીએ ૧૪ બેઠકો માટે ઈલેક્શન કરાશે. ત્યારે એક તરફ સાંસદ મનસુખ વસાવાએ પ્રકાશ દેસાઈને મળેલાં મેન્ડેટને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. જયારે બીજી તરફ દૂધધારા ડેરીની ચૂંટણીમાં પેનલ ઉતારનાર ધારાસભ્ય અરૂણસિંહ રણાની ગંગોત્રી ડેરી પણ હવે ચર્ચામાં આવી છે. ધારાસભ્ય અરૂણસિંહ રણા વાગરા પંથકમાં માત્ર તેમની જ ગંગોત્રી ડેરીનું દૂધ વેચાય તેવા પ્રયાસ કરતાં હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.
ભરૂચ દુધધારા ડેરીના ઈલેક્શનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ડેરીનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. છેલ્લા ૧૮ વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન સંભાળનાર ધનશ્યામ પટેલની સામે આ વખતે વાગરા ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેન્કના ચેરમેન અરૂાસિહ રણાએ પોતાની પેનલ ઉતારતાં ડેરીની ૧૪ બેઠક માટે ૧૮ વર્ષમાં પહેલીવાર ઈલેક્શન યોજાશે. આગામી ૧૯મી સપ્ટેમ્બરના રોજ ઈલેક્શન છે. ત્યારે હાલમાં બન્ને પક્ષના દિગ્ગજો તેમના ઉમેદવારોને જીતાડવા મતદારોને રિઝવવામાં જોતરાઈ ગયાં છે. ત્યારે દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને અરૂણસિંહની ગંગોત્રી ડેરી પણ ચર્ચામાં આવી છે. અરૂણસિહ રણાની ગંગોત્રી દૂધડેરીમાં આસપાસના ગામડામાંથી દૂધ આવતું નથી. તે ગામડાઓનું દૂધ દૂધધારા ડેરીમાં જ જાય છે. જેથી તેઓ બહારથી દૂધ મંગાવે છે. ઉપરાંત વાગરા પંથકમાં આવેલી કંપનીઓની કેન્ટીનોમાં તેમજ અન્ય સ્થળે તેમની ડેરીમાંથી જ દૂધ જાય તેવું આયોજન કર્યું છે. જેના કારણે ભરૂચ દૂધધારા ડેરીને વર્ષે મોટું નુકસાન થાય છે. ત્યારે આવા લોકો દૂધધારા ડેરીમાં આવે તો દૂધધારા ડેરીનું હિત કેવી રીતે જોશે તેવો પ્રશ્ર્ન ઘનશ્યામ પટેલે કર્યો છે.
પ્રકાશ દેસાઈ દૂધ ભરતાં નથી તોય તેમને મેન્ડેડ મળ્યો પ્રકાશ દેસાઈ ઝપડિયાના રાયસિંગપરા ગામે રહે છે. તેમની કોઈ દૂધ મંડળી નથી. અરૂણસિંહ રણા, પ્રકાશ દેસાઈ તેમજ જંબુસરના ઉમેદવાર જગદિશ પટેલને પશુપાલન સાથે કોઈ લેવા દેવા નથી. તેમ છતાં તેઓ દૂધધારા ડેરીના રાજકારણમાં ઘુસ્યા છે. તેઓ આક્ષેપ ઘનશ્યામ પટેલે કર્યો છે.
