ભરૂચ
નેત્રંગના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં, ભાવનગર ખાતેથી ‘સમુદ્ર થી સમૃદ્ધિ‘ કાર્યક્રમમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં રોડ-રસ્તાઓ, ઉર્જા તેમજ નાગરિકોની સુવિધાઓમાં વધારો કરતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના ૨૬,૦૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવતા શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ રાજમાર્ગ પરિયોજના અંતર્ગત એનએચ-56 ના બિતાડા/મોવીથી નસારપોર વિભાગના 29.12 કીમીનો ચાર લેન પ્રોજેક્ટ અંદાજિત 764.02 કરોડની રકમના વિકાસ કાર્યની ઈ-તકતીનું અનાવરણ કરી શિલાન્યાસ કર્યો હતો.
આ પ્રસંગે, ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ ભારપૂર્વક જણાવ્યું કે, નવા ચાર માર્ગીય રસ્તાના નિર્માણના ભગીરથ કાર્યથી નેત્રંગ તાલુકાના વિકાસમાં એક નવો અધ્યાય જોડાશે. આ વિકાસશીલ પગલું નેત્રંગ તાલુકાની પ્રગતિની ગતિને વેગ આપશે. નેત્રંગથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત આસપાસના વિસ્તારોમાં પરિવહન વધુ સરળ અને ઝડપી બનશે. આનાથી સ્થાનિક વેપાર-ધંધાને વેગ મળશે અને લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
આ પ્રોજેક્ટ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, બિતાડા/મોવીથી નસારપોર વિભાગના 29.12 કીમીનો ચાર લેન પ્રોજેક્ટ અંદાજિત 764.02 કરોડની માતબર રકમથી નિર્માણ થશે. જેમાં મોવી ગામ નજીક 1.20 કિમીનું રીઅલાઈન્મેન્ટ પણ સામેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં કુલ 25 નવા પુલોનું નિર્માણ થવાનું છે. વિવિધ ક્રોસ રોડ સ્થળોએ 3 નવા ફ્લાયઓવર બનાવવાના અને નેત્રંગ ચાર રસ્તા પાસે 800 મીટર લાંબો ફ્લાયઓવર પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. જેથી નેત્રંગ ચોકડી અને આ માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ ઓછું થઈ જશે. સાથોસાથ નવું બસ સ્ટેશન નેત્રંગ તાલુકાની જનતા માટે આશિર્વાદરૂપ બનશે તેમ કહ્યું હતું.
Advertisement
