અંકલેશ્વરના પાનોલી GIDC વિસ્તારમાં આવેલી નેશનલ બાયોસેફ કંપનીમાં ઝેરી ગેસની અસરથી એક કામદારનું મોત થતા ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 33 વર્ષીય યુવાન કર્મચારીનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના વતની અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠા સોસાયટીમાં રહેતા મોહમ્મદ નઈમ કુરેશી (ઉં.33) નેશનલ બાયોસેફ કંપનીમાં ફરજ બજાવતા હતા.
ગત તા. 2 જૂનના રોજ કંપનીમાં કામ કરતી વખતે તેમને અચાનક ઝેરી ગેસની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. ગેસની અસર થતાં તેઓ ઘરે પરત ફર્યા હતા અને પ્રાથમિક સારવાર લીધી હતી. જોકે બીજા દિવસે તેમની તબિયત વધુ બગડતા અને ચક્કર આવવાની ફરિયાદ વધતા તેમને ખરોડ સ્થિત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. યુવાન પુત્રના આકસ્મિક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ઘટનાને લઈને સ્થાનિકો અને પરિવારજનો દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
