500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપદા પ્રબંધનનું પ્રાયોગિક માર્ગદર્શન
ભરૂચ
સ્ટેશન રોડ પર આવેલી સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન તથા રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલયમાં નગરપાલિકા ભરૂચના ફાયર સેફ્ટી વિભાગ દ્વારા ફાયર અને આપદા પ્રબંધન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાયર અધિકારી શૈલેષ સાંસીયા અને તેમની ટીમે રજૂઆત કરેલ આ માર્ગદર્શન કાર્યક્રમમાં ધોરણ 6 થી 10 ના કુલ 500 વિદ્યાર્થીઓ અને 50થી વધુ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વર્કશોપ દરમિયાન કુદરતી તેમજ માનવસર્જિત આપદાઓના પ્રબંધન, અગ્નિસુરક્ષા સંબંધિત પ્રાથમિક જ્ઞાન અને આગની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિક્રિયાની પ્રક્રિયા સરળ અને પ્રાયોગિક રીતે સમજાવવામાં આવી હતી. ઉપરાંત ફાયર એક્સટિંગ્યુઇશરનો યોગ્ય ઉપયોગ, આગની વિવિધ કેટેગરી અને બચાવ ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં સુરક્ષા-જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ પ્રસરી ઉઠ્યો હતો.
