કુકરવાડાના ગોકુલ નગર ખાતે બનેલી ઘટના
ભરૂચ
ભરૂચ તાલુકામાં આવેલાં કુકરવાડા ગામે ગોકુલ નગર પાસે આવેલાં આદિવાસી સ્મશાનમાં મંદીર આવેલું છે. જેમાં સ્થાનિક આદિવાસી સમાજના લોકોની ભારે આસ્થા છે. દરમિયાનમાં ગત રાત્રીના સમયે કોઈ અસામાજિક તત્વોએ પંથકમાં તંગદિલી સર્જાય તેવા આશય સાથે મંદીરમાં મુકવામાં આવેલી મેલડી માતાની પ્રતિમા પર મોટો પત્થર નાંખી તેને ખંડીત કરી નાંખી હતી. દરમિયાનમાં સવારે મંદીરના સંચાલકો નિત્યક્રમ મુજબ મંદીરે પહોંચતાં ખંડિત મુી જોઈને તેમની ધાર્મિક આસ્થા દુભાઈ હતી.
ઘટનાની જાણ થતાં જ કુકરવાડા સહિત આસપાસના ગામના આદિવાસી સમાજના લોકો તુરંત ત્યા દોડી આવ્યાં હતાં. ઘટના અંગે માહિતી મળતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર ધસી આવ્યો હતો. લોકો ધાર્મિકરીતે આહત થયાં હોઈ ઘટનાને કારણે તંગદીલી સર્જાય તેવી ભિતી સેવાઈ રહી હતી. જોકે, પોલીસે સમાજના આગેવાનોને તેમજ યુવાનોને સમજાવટ કરી હતી. જોકે, તેમ છતાંય પોલીસે વિસ્તારમાં સુલેહશાંતી માટે જરૂરી બંદોબસ્ત ખડકી દીધો હતો. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે પણ એક્શનમાં આવી મંદિરમાં પ્રવેશી પ્રતિમાને નુકસાન પહોંચાડનારાઓને શોધી કાઢવા માટે ખાસ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં લગાવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તેના આધારે અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટેની કવાયત પોલીસે હાથ ધરી છે.
