ભરૂચ.
ભરૂચ જિલ્લામાં ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાઉ ન થાય અને છાત્ર તણાવમુક્ત રહીને પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણવિભાગ દ્વારા ખાસ આત્મ વિશ્વાસ હેલ્પલાઈન ૩૦ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. જેના પર વિદ્યાર્થીઓ ફોન કરીને જે તે વિષય સહિત અન્ય કોઈ પણ પ્રકારનો વિદ્યાર્થીઓને તણાવ હોય તો તેને દૂર કરવામાં આવશે. જેથી કે તે પરીક્ષા ટાંણે કોઈ પણ પ્રકારના હાઉના બદલે વાઉ પરીસ્થિતીમાં પરીક્ષા આપી શકે.
ભરૂચ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાનું બોર્ડનું પરિણામ સારુ આવે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમ છતાંય કેટલીકવાર બાળકો પારિવારીક-સામાજિક દબાણને લઈને બોર્ડની પરીક્ષાને લઈને વધુ માનસિક તાણમાં આવી જાય છે. જેના કારણે અનેકવાર સારો અભ્યાસ કર્યો હોવા છતાંય તણાવને કારણે તે જોઈએ તે રીતે પરીક્ષા નથી આપી શકતો બીજી તરફ પરીક્ષાના ડરને કારણે ક્યારેક ક્યારેક વિદ્યાર્થીએ જે વાંચન કર્યું હોય તે ભુલી ગયો હોય તેવો તેને ભ્રમ થતો હોય છે અને તે માનસિક તાણમાં આવી જાય છે. ઉપરાંત ક્યારેક ક્યારેક તેને અંતિમ દિવસોમાં અભ્યાસ(વિષય)ને લઈને કોઈ મુંઝવણ ઉભી થાય તો હવે કોને પુછવું તેવી દુવિધામાં તે આવી જાય છે ત્યારે આજ પ્રકારે કોઈને કોઈ કારણસર તે તણાવમાં આવી જતો હોય છે. જેથી આવા સમયમાં તેનો આત્મવિશ્વાસ વધે અને પરીક્ષાનો હાઉ દૂર કરી શકે તે માટે તેને યોગ્ય માર્ગદર્શન આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ આત્મવિશ્વાસ હેલ્પલાઈન શરૂ કરી છે ૩૦ જાન્યુઆરીથી સવારે ૮થી ૧૦ અને સાંજે ૫થી ૭ વાગ્યા સુધી હેલ્પલાઈન નંબર પર જે તે વિદ્યાર્થી પોતાના મુંઝવતા શૈક્ષણિક કે તણાવયુક્ત માહોલના પશ્નો પુછી તેનું સચોટ નિરાકરણ મેળવી શકશે.
ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ માટે જિલ્લાના શિક્ષકોમાંથી ૧૭ વિષય તજજ્ઞ શિક્ષકોની ખાસ નિમણૂંક કરવામાં આવી છે. જેઓ છાત્રોને જે તે વિષયને લઈને તો માર્ગદર્શન તો પુરુ પાડવામાં આવશે જ. સાથે સાથે વિદ્યાર્થી જો કોઈ માનસિક તાણમાંથી પસાર થતો હોય તો તેને યોગ્ય માર્ગદર્શન આપી તેનું તણાવ દૂર કરવા સાથે તે તણાવયુક્ત માહોલને નજરઅંદાજ કરી પોતાના અભ્યાસ પર કેવી રીતે ધ્યાન આપી શકે તે સહિતની તમામ જરૂરી માર્ગદર્શન આપશે.
