વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ ગામે પંચવટી કેન્દ્ર ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિન નિમિત્તે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તેમજ મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે કરી હતી, જ્યારે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા પ્રેરક ઉપસ્થિતિમાં રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ કૃષિ ઉત્પાદનો નિહાળ્યા અને ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું હતું.
પોષણથી સમૃદ્ધ મિલેટ ધાન્યોના ઉપયોગ માટે જાગૃતિ વધારવા તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી ગાય આધારિત ખેતી તરફ પ્રોત્સાહિત કરવા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં આશરે એક હજારથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ અને કૃષિ સંલગ્ન વિવિધ વિભાગોના સ્ટોલ દ્વારા ખેડૂતોને નવીન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મહત્વ અને તેના લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મિલેટ પાકોના ઉત્પાદન, પોષણમૂલ્ય અને ખેડૂતલક્ષી સહાય યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ મનહરભાઈ વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દીપકભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
