ભરૂચ: જેસીઆઈ ભરૂચ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) ભરૂચના સંયુક્ત ઉપક્રમે રવિવારે નેત્રંગ તાલુકાના વરખડી ગામ ખાતે મફત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં પશુઓના આરોગ્ય સંવર્ધન અને પશુપાલકોને નિઃશુલ્ક પશુચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલા આ આરોગ્ય મેળાને પશુપાલકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો.
આ આરોગ્ય મેળામાં 1,500થી વધુ પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું, જ્યારે 1,000થી વધુ પશુઓને જરૂરી દવાઓનું વિતરણ અને સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત 534 પશુઓની આરોગ્ય તપાસ (નિદાન) કરવામાં આવી હતી. પશુઓના પ્રજનન આરોગ્યને ધ્યાનમાં રાખીને 22 ગાયનેકોલોજીકલ કેસોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત એક પશુના પગનું સફળ ઓપરેશન પણ પશુચિકિત્સક ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે પશુચિકિત્સક ડૉ. પ્રસન્ન વસાવા અને તેમની ટીમે મહત્વપૂર્ણ સેવાઓ આપી હતી. કાર્યક્રમમાં નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ મગનભાઈ વસાવા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જેસીઆઈ ઝોન-8ના ઝોન વાઇસ પ્રેસિડેન્ટ યોગેશ્વરી રાઠોડ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જેસીઆઈ ભરૂચના પ્રમુખ સાગરભાઈ કાપડિયા, VYO ભરૂચના પ્રભારી આશિષભાઈ તોલાટ, VYO એજ્યુકેશન હેડ ચૈતન્યભાઈ શાહ, VYO યુથ પ્રેસિડેન્ટ સંકેતભાઈ શાહ, અતુલભાઈ ગાડોયા, હર્ષલભાઈ સોલંકી અને જીમિતભાઈ પાઠક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આયોજકોએ જણાવ્યું હતું કે આવા આરોગ્ય મેળાઓ દ્વારા પશુપાલકોને નિઃશુલ્ક અને ગુણવત્તાસભર પશુચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ થાય છે, જેના કારણે પશુઓનું આરોગ્ય સુધરે છે અને પશુપાલન વ્યવસાયને પણ પ્રોત્સાહન મળે છે.
