આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન – દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના ચાસવડ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અદાણી દહેજ પોર્ટના સીઓઓ કેપ્ટન ધરમ પ્રકાશની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આદિવાસી મહિલા ખેડૂતોની પોતાની માલિકીની “આદિ સમૃદ્ધિ પ્રોડ્યુસર કંપની”નું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અંદાજે 150 જેટલી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન કેપ્ટન ધરમ પ્રકાશે જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે મહિલાઓનું આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનવું અત્યંત જરૂરી છે. તેમણે મહિલાઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધીને સ્વવિકાસ માટે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી.
નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક (DDM) સુજા સીબુએ ગ્રામ્ય મહિલાઓને સ્વસહાય જૂથો (SHG) અને પ્રોડ્યુસર કંપનીઓના માધ્યમથી આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. લલિત પાટીલે આધુનિક કૃષિ પદ્ધતિઓ તથા મૂલ્યવર્ધન દ્વારા આવક વધારવાના માર્ગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવારે સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે ‘આદિ સમૃદ્ધિ’ કંપનીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મહિલાઓને અર્પણ કરવામાં આવ્યું હતું. હાલ કંપનીમાં 10 બોર્ડ મેમ્બર છે અને આગામી સમયમાં 500 જેટલી મહિલાઓને શેરહોલ્ડર બનાવવા યોજના ઘડાઈ છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા સખી મંડળની બહેનોએ અદાણી ફાઉન્ડેશનના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પહેલથી નેત્રંગ વિસ્તારની મહિલા ખેડૂતો માટે આત્મનિર્ભરતાના નવા અવસર ઊભા થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
