ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ આદિવાસી ગૌરવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સમગ્ર વિસ્તાર રાજકીય ગરમાવથી ગુંજી ઉઠ્યો હતો.
કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ઝઘડિયા મતવિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવા સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક પામેલા પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ભાજપની વિકાસમુખી નીતિઓથી પ્રેરાઈને ઝઘડિયા વિધાનસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. જેમાં ઝઘડિયા વિધાનસભાના આપના પૂર્વ મહિલા ઉમેદવાર ઉર્મિલાબેન ભગત, સહપ્રભારી અનંતભાઈ પંચાલ, વાલિયા તાલુકા પ્રમુખ કિરણભાઈ વસાવા, કિશોરભાઈ વસાવા, જયંતીભાઈ વસાવા, નરેન્દ્રભાઈ વસાવા, અરૂણભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા સહિત તેમની મોટી ટીમે ભાજપનો દામન થામ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ નવા કાર્યકર્તાઓને કેસરી ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત આવકારવામાં આવ્યા હતા.
તાલુકા અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણી પહેલાં આપના પાયાના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા ભરૂચ જિલ્લામાં આપ પાર્ટીને મોટું રાજકીય નુકસાન થયું હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ખાસ કરીને વાલિયા અને ઝઘડિયા પંથકમાં થયેલા આ પક્ષપલટાને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચચા જોવા મળી રહી છે.
આ રાજકીય ફેરફારને પગલે આવનારી ચૂંટણીમાં ભાજપની પકડ વધુ મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે વિપક્ષ માટે આ ઘટના ચિંતાનો વિષય બની છે.
