ભરૂચમાં જીએનએફસી ટાઉનશીપ પાસેની સ્વાસ્તિ સોસાયટીની ઘટના
ભરૂચ.
ભરૂચની જીએનએફસી ટાઉનશીપ પાસે આવેલી સ્વાસ્તિક સોસાયટીમાં રહેતાં અને નિવૃત્ત જીવન ગુજારતાં અરવિંદ લક્ષ્મીદાસ પટેલ તેમની પત્ની સાથે એકલાં રહેતાં હતાં. તેમની પુત્રીના અમદાવાદ ખાતે લગ્ન થયાં હતાં. જ્યારે તેમનો પુત્ર તેના પરિવાર સાથે વડોદરાના વાંસણા ખાતે રહેતો હતો. અરસામાં ગત 9મી માર્ચના રોજ તેઓ તેમની પત્ની સાથે વડોદરા તેમના પુત્રને ત્યાં રહેવા ગયાં હતાં. જ્યાં તેઓ પાંચેક દિવસ રોકાયાં હતાં. જે બાદ તેઓ સવારે તેમના ઘરે આવતાં તેમના ઘરનો મુખ્ય દરવાજો ખોલી તેઓ અંદર જતાં તેમણે જોયું તો તેમના દરવાજાની બાજુમાં આવેલી બારીની લોખંડની ગ્રીલ એક તરફથી કપાયેલી અને એક વાંકી વાળેલી હોવાનું જણાયું હતું. જેથી તેમણે અંદર જઇ જોતાં તેમના બેડરૂમના દરવાજાને મારેલું તાળું તુટેલું હતું. તેમજ બેડરૂમમાંના કબાટના તાળા પણ તુટેલાં હતાં. અને સામાન વેરવિેખેર પડેલો હોઇ તેમણે કબાટમાં તપાસ કરતાં તેમાંથી સોનાનો એક સેટ, ચાંદીની 6 ડીસ, ચાંદીની 2 કંકાવટી, ચાંદીના 6 ગ્લાસ, ચાંદીના કડલા નાના બાળકના હાથના 4 તેમજ પગના 4 તેમજ ગણપતિની 2 મુર્તિ મળી કુલ 1.96 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હોવાનું માલુમ પડતાં તેમણે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
