૧૪ ગામોના ૬૦૬૮ હેક્ટર વિસ્તારમાં મળશે સિંચાઈ સુવિધા
વાંકલ :
સુરત જિલ્લાના અરેઠ તાલુકાના ચંદનપુર ગામે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રૂ.૩૬૦ કરોડના ખર્ચે સાકાર થનાર કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્દવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ યોજનાના અમલીકરણથી માંગરોળ તાલુકાના ૫ ગામોની ૨૧૮૩.૪૬ હેક્ટર અને માંડવી તાલુકાના ૯ ગામોની ૩૮૮૫.૧૯ હેક્ટર જમીન સહિત કુલ ૬૦૬૮.૬૫ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે. પરિણામે કુલ ૧૪ ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે.
માંગરોળ તાલુકાના નાની નરોલી, ડુંગરી, બોરસદ-દેગડીયા અને ઉમેલાવ ગામો તથા માંડવી તાલુકાના અરેઠ, અંત્રોલી, ફલી, ઝાબ, ચંદનપુર, મધરકુઈ, ટુકેડ, પાતલ અને ઉટેવા ગામોના ખેડૂતો આ યોજનાથી લાભાન્વિત થશે.
આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોને સિંચાઈના પાણીથી સમૃદ્ધ બનાવવા પ્રતિબદ્ધ છે. ઉદ્દવહન (લિફ્ટ ઈરીગેશન) પદ્ધતિ દ્વારા છેવાડાના ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવશે, જેના કારણે કૃષિ ઉત્પાદન વધશે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થશે. તેમણે ઉમેર્યું કે ચોમાસા બાદ પાણીની અછતનો સામનો કરનારા વિસ્તારોમાં હવે પૂરતું સિંચાઈ પાણી ઉપલબ્ધ થશે.
ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ સુવિધાના વિકાસથી ખેડૂતો વર્ષ દરમિયાન વિવિધ પાકો, શાકભાજી અને ફળફળાદિનું ઉત્પાદન કરી શકશે, જે તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે.
ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે વનબંધુ કલ્યાણ યોજનાએ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. સિંચાઈ, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થયેલા વિકાસથી છેવાડાના ગામો સુધી સુખાકારી પહોંચશે અને સમગ્ર વિસ્તાર હરિયાળો બનશે.
કાર્યક્રમ દરમિયાન જળસંપત્તિ વિભાગના સચિવ પી.સી. વ્યાસ, મુખ્ય ઇજનેર આર.એમ. પટેલ, તાલુકા પંચાયતના સભ્યો તથા વિવિધ ગામોના સરપંચો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
