રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં વિનાયક પ્લેટફોર્મ નંબર 4-5 પર દેખાયો હતો
ભરૂચ.
ભરૂચના ઓસારા રોડ સ્થિત શિવાલીક એવેન્યુ વિસ્તારમાં રહેતા એક કિશોર ગુમ થવાની ઘટના સામે આવતા પરિવારમાં ચિંતા અને હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, શિવપ્રકાશ ઉમાશંકર દ્વિવેદી, જે ઝઘડિયા સ્થિત કોહલર કંપનીમાં નોકરી કરે છે, તેમના 13 વર્ષીય પુત્ર વિનાયક અચાનક લાપતા થઈ ગયો છે.
પરિવારના જણાવ્યા અનુસાર, વિનાયક અને તેનો મોટો ભાઈ શુભ (ઉંમર 14 વર્ષ) એમિકસ શાળામાં અભ્યાસ કરે છે. શાળામાં વેકેશન ચાલતા બંને ભાઈઓ ઘરે જ હતા. ગત 20 માર્ચના રોજ સાંજે શિવપ્રકાશભાઈ નોકરી પરથી ઘરે પરત ફર્યા ત્યારે વિનાયક ઘરમાં હાજર ન હતો. પત્ની પાસે પૂછતાં જાણવા મળ્યું કે તે સાંજે અંદાજે 5 વાગ્યે સોસાયટીના પાર્કમાં રમવા ગયો હતો.
પરિવારજનોએ તાત્કાલિક પાર્ક તથા આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી, પરંતુ વિનાયકનો કોઈ પત્તો લાગ્યો નહોતો. પાર્કમાં રમતા અન્ય બાળકોને પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે વિનાયક “મુંબઈ જાઉં છું” એવું બોલતો હતો. આ માહિતી મળતાં પરિવારજનોએ એસ.ટી. ડેપો, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન, રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં વિનાયક પ્લેટફોર્મ નંબર 4-5 પર દેખાયો હતો અને સાંજે 7:29 વાગ્યાની મુંબઈ જતી ટ્રેનમાં ચડ્યો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતા ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસ દ્વારા ગુમશુદગીની ફરિયાદ નોંધવામાં આવી છે અને કિશોરને શોધવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે રેલવે તથા અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સંકલન સાધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
