દક્ષિણ અને ઉત્તર ગુજરાત વચ્ચે સીધી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ બનતા મુસાફરોમાં ખુશી
ભરૂચ :
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસો હેઠળ ભરૂચથી પાટણ વચ્ચે નવી એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી સેવા શરૂ થતાં દક્ષિણ અને ઉત્તર ગુજરાત વચ્ચે સીધી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ બનતા મુસાફરોમાં ખુશી વ્યાપી છે.
ભરૂચ ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ પરેશ લાડ, પાલિકા સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
નવી બસ સેવા શરૂ થતા મુસાફરોને હવે વચ્ચે બસ બદલવાની જરૂર રહેશે નહીં અને સીધી મુસાફરી શક્ય બનશે. આ રૂટ વેપાર, શિક્ષણ અને રોજગારી માટે આવતા-જતા લોકો માટે ખાસ લાભદાયક સાબિત થશે.ઉલ્લેખનીય છે કે આ રૂટ પર ચાલતી બસ સેવા મુસાફરોને પાટણની વિશ્વપ્રસિદ્ધ ‘રાણીની વાવ’ તેમજ સિદ્ધપુર જેવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ પહોંચવામાં સરળતા આપશે, જેના કારણે પર્યટન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા નિગમની પ્રથમ પ્રાથમિકતા છે અને આ બસ સેવા માત્ર પરિવહન જ નહીં પરંતુ લોકસેવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. તેમણે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા 182 વિધાનસભા વિસ્તારો માટે 182 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ ડેપોને આ નવી સેવા પ્રાપ્ત થઈ છે. આ સેવા શરૂ થતાં જિલ્લાના મુસાફરોને વધુ સગવડતા મળશે. અંતમાં ધારાસભ્યએ મુસાફરોને સરકારી સંપત્તિને પોતાની સમજી તેની જાળવણી કરવા તેમજ આ સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
