વાંકલ ::
માંગરોળ તાલુકાના ધોળીકુઇ ગામમાં દીપડાના આતંકની ઘટના સામે આવી છે. ગામના પશુપાલક હરેશ મોદી ના ખેતર પર રાત્રિના સમયે દીપડાએ હુમલો કરતા દૂધ આપતી ગાયનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, હરેશ મોદી દ્વારા તેમના ખેતર પર બે દૂધાળ ગાયો અને એક વાછરડી બાંધવામાં આવી હતી. રાત્રિના સમયે અચાનક દીપડાએ હુમલો કરી એક ગાયને ફાડી નાખી હતી અને તેનો ભોગ લીધો હતો. સવારે ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.
આ બનાવને પગલે ગામના પશુપાલકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે પશુઓને ખેતરમાં બાંધતા ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે અને વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ઘટનાની જાણ વન વિભાગને ટેલિફોનિક રીતે કરવામાં આવી હતી. પરંતુ વન વિભાગની કચેરી વાંકલથી ઝંખવાવ ખાતે ખસેડાતા, કોઈપણ ઘટના બનતી હોય ત્યારે ખેડૂતોને અંદાજે 10 કિમી દૂર જઈને જાણ કરવી પડે છે, જે ખેડૂતો માટે મુશ્કેલીરૂપ બની રહી છે.
સ્થાનિકોએ વન વિભાગ પાસે માંગણી કરી છે કે દીપડાને ઝડપવા પાંજરું ગોઠવવામાં આવે અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને અને પશુપાલકોને રાહત મળે.
