માંગરોળ: તાલુકામાં દીપડાના દેખાવ અને હુમલાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ગઈકાલે ધોળીકુઈ ગામે દીપડાએ ગાયનું મારણ કર્યાની ઘટના સામે આવી હતી, જ્યારે વાંકલ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિઠ્ઠલભાઈ પટેલની આંબાની વાડી નજીક રાત્રે આશરે ૯ વાગ્યે બે દીપડા દેખાતા લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો.
વાંકલ વિસ્તારમાં આંબાની વાડી ધરાવતા વિઠ્ઠલભાઈ પટેલે દીપડાને નજરોનજર જોયો હોવાનું જણાવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર સ્ટેશન વિસ્તાર અને આસપાસના ગામોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ ઘટનાની જાણ વન વિભાગના આરએફઓ હિરેન પટેલને કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ વન વિભાગને તાત્કાલિક પગલાં લઈ પાંજરું ગોઠવી દીપડાને પકડવાની માંગ ઉઠાવી છે.
ઉલ્લેખનીય છે કે, આ જ વાડી વિસ્તારમાં અગાઉ પણ દીપડાએ ગાયનું મારણ કર્યું હતું અને ત્યારબાદ વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં દીપડો ઝડપાયો હતો. હાલ ફરી દીપડાની હાજરીને કારણે લોકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે.
સ્થાનિકોએ વન વિભાગને વહેલી તકે કાર્યવાહી કરી લોકોને સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી છે.
