ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે એક પીડિત મહિલા સહાય માટે પહોંચતા પોલીસે સંવેદનશીલતા દાખવી તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, મહિલાને તેના પતિ અને નણંદ દ્વારા મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં ઘરે પરત ન આવવાની ધમકી આપવામાં આવી હતી. મહિલાએ વધુમાં જણાવ્યું કે તેને રોજિંદા મજૂરી માટે મોકલવામાં આવતી હતી અને તેની કમાણી પતિ તથા નણંદ દ્વારા લઈ લેવામાં આવતી હતી. પૈસા આપવાનો ઇનકાર કરતાં તેની સાથે શારીરિક હિંસા કરવામાં આવતી હતી તેમજ તેને પૂરતો ખોરાક પણ આપવામાં આવતો ન હતો.
મહિલા સંતાનવિહોણી છે અને માતા-પિતાનો સહારો ન હોવાથી સંપૂર્ણપણે નિરાધાર બની ગઈ છે. તેણે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો કે તેના પતિએ તેના આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ સળગાવી દીધા છે, જેના કારણે તેની ઓળખ માટે કોઈ દસ્તાવેજ બાકી રહ્યો નથી.
મહિલાની પરિસ્થિતિને ગંભીરતાથી લઈ ઝઘડિયા પોલીસે તરત જ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ને જાણ કરી હતી. હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે હેન્ડઓવર કરી હતી.
સખી સેન્ટરમાં મહિલાને રહેવા તથા જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સમગ્ર કામગીરી બદલ ઝઘડિયા પોલીસ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
