ભરૂચ.
ભરૂચ ખાતે જમિયત ઉલમા-એ-હિંદ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર ગુજરાત સરકારને સંબોધીને રજૂ કરવામાં આવ્યું છે.
આવેદનમાં જણાવ્યા અનુસાર, 25 માર્ચ 2025ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલ “સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code 2025)” બિલ તમામ નાગરિકો માટે સમાન કાયદાની વાત કરે છે. જોકે, સંસ્થાના મતે આ કાયદો વિવિધ ધાર્મિક સમુદાયોની પરંપરાઓ પર અસરકારક બની શકે છે, ખાસ કરીને મુસ્લિમ સમાજના વ્યક્તિગત કાયદાઓ પર તેની અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
જમિયત ઉલમા-એ-હિંદ દ્વારા દલીલ કરવામાં આવી છે કે આ પગલું ભારતના બંધારણની કલમ 14 (કાયદા સમક્ષ સમાનતા) અને કલમ 25 (ધાર્મિક સ્વતંત્રતા) સાથે વિરુદ્ધ હોવાનું જણાય છે. ખાસ કરીને અલ્પસંખ્યક સમુદાયોના પરંપરાગત અને ધાર્મિક હકોમાં દખલ થવાની શક્યતા હોવાનું પણ આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સંસ્થાએ સરકાર પાસે માંગ કરી છે કે આ કાયદા અંગે પુનર્વિચાર કરવામાં આવે તેમજ વિવિધ ધાર્મિક અને સામાજિક સમુદાયો સાથે ચર્ચા કરીને સહમતીનો માર્ગ અપનાવવામાં આવે.
