જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં 26મીએ ચૂંટણી
મોટા પક્ષ એકંદરે દરવર્ષની જેમ અંતિમ સમયે ફોર્મ ભરે તેવી શક્યતાં
ભરૂચ :
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ એપ્રિલ–૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ માટે ભરૂચ જિલ્લામાં નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, પ્રક્રિયા શરૂ થયા બાદ પણ હાલ સુધી જિલ્લામાં એકપણ ઉમેદવારી ફોર્મ નોંધાયું નથી.
જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ભરૂચ જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ માટે મતદાન તા. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાશે, જ્યારે મતગણતરી તા. ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ હાથ ધરાશે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા તા. ૦૬ એપ્રિલથી શરૂ થઈ છે અને તા. ૧૧ એપ્રિલ ૨૦૨૬ સુધી ચાલુ રહેશે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ તા. ૧૫ એપ્રિલ ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. હાલ સુધી જિલ્લામાં એકપણ ઉમેદવારી ફોર્મ ન ભરાવાની સ્થિતિ રાજકીય પક્ષો દ્વારા અંતિમ ક્ષણ સુધીની રાહ જોવાની વ્યૂહરચનાને સંકેત આપે છે. આગામી દિવસોમાં નામાંકન પ્રક્રિયામાં ગતિ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પાર્થ જયસ્વાલ, ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 163 હેઠળ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસ ૧૦૦ મીટર વિસ્તારમાં પ્રતિબંધાત્મક નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે.જાહેરનામા મુજબ ઉમેદવારી પત્ર રજૂ કરવા અથવા પરત ખેંચવા આવતાં ઉમેદવાર સાથે વધુમાં વધુ બે વ્યક્તિઓ અને બે વાહનોને જ કચેરી વિસ્તારમાં પ્રવેશ મળશે. તેમજ ચૂંટણી અધિકારીના રૂમમાં ઉમેદવાર, દરખાસ્ત કરનાર અથવા ચૂંટણી એજન્ટ સહિત વધુમાં વધુ બે વ્યક્તિઓને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. અન્ય વ્યક્તિઓ માટે રૂમ બહાર પ્રતિક્ષાની વ્યવસ્થા રાખવામાં આવશે.આ પ્રતિબંધો ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા ફરજ પર મુકાયેલા પોલીસ અને હોમગાર્ડ માટે લાગુ પડશે નહીં.
